Gujarat Election 2022: રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ શહેરની એક સભાના સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે પ્રચાર સભા દરમિયાન ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે કહેતા ભાજપે તેમના પર પ્રહાર કર્યા.
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મહાદેવ અને અલ્લાહ અંગે આપેલા નિવેદન બાદ ધર્મના મુદ્દે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી શરૂ થઈ છે. ઈન્દ્રનીલે ભાજપ પર વાર કરતા કહ્યું કે ભાજપ પાસે કોઈ ચૂંટણીલક્ષી મુદ્દાઓ ન હોવાથી તે મારી ક્લિપ વાયરલ કરાવી ખોટો વિવાદ ઉભો કરી રહી છે. ભાજપની વિચારધારા જ ભાગલાવાદી છે. બીજી તરફ ભાજપના નેતા ભરત બોઘરાએ ઈન્દ્રનીલ પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસની વિચારધારા પહેલેથી જ હિંદુ વિરોધી છે. તેમણે કોંગ્રેસને વિચારધારા વગરનો પક્ષ ગણાવ્યો.
જંગલેશ્વરની જાહેરસભા દરમિયાન ઈન્દ્રનીલે કહ્યુ ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંને એક છે’
શનિવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ વિધાનસભા પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ ‘અલ્લાહ હુ અકબર’ બોલે છે જ્યારે સામે લોકો મહાદેવ હર બોલી રહ્યા છે. તેમણે કહ્યું હતુ કે મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે. હું સોમનાથમાં ભક્તો સાથે બસમાં જાઉં કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાઉં, બંનેમાં સરખી ખુશી મળે છે. મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. જ્યારે તેઓ અલ્લાહ હુ અકબર બોલે છે એ સમયે સામે લોકો ‘મહાદેવ હર બોલી રહ્યા છે’
હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે. આ વીડિયોમાં તેઓએ પોતાના ભાષણની શરૂઆતમાં એવું કહ્યું હતું કે ધર્મના નામે જે લોકો અલગ કરવા માંગે છે તે લોકોને ખબર પડે એટલે હું અલ્લાહ હુ અકબર બોલું તો તમે મહાદેવ બોલજો. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષ એક બીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.