ભુજ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અંજાર-ગાંધીધામ હાઇવે પર સભાના લીધે આસપાસના વધારે વસતીવાળા ગામોના મતદારોને પણ લાવી શકાશે
કચ્છમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ બાદ આગામી 28મીના ખૂદ વડાપ્રધાન પ્રચાર માટે આવી રહ્યા છે. અંજાર ખાતે યોજાનાર વડાપ્રધાનની સભાનું સ્થળ પણ સુચક માનવામાં આવી રહ્યું છે. અંજાર-ગાંધીધામ રોડ પર મેદાનમાં સભાના લીધે એકસાથે બે વિધાનસભા મતવિસ્તારના લોકોને અસર કરી શકાશે તેવી ભાજપની ધારણા છે.
2017 વખતે વડાપ્રધાને માતાનામઢમાં દર્શન કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તો સમા પક્ષે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં સભા કરી ગયા છે. તો બીજીબાજુ આપના અરવિંદ કેજરીવાલ પણ રાજ્યની સાથે કચ્છમાં પણ સભા ગજવી ગયા છે. અમિત શાહના પ્લેનમાં ખામીના લીધે તેઓ ભુજની સભામાં આવી શક્યા ન હતાં. તેવામાં હવે તેની કસર ખૂદ વડાપ્રધાન મોદી પુરી કરવા આવી રહ્યા છે.
સોમવારે વડાપ્રધાન અંજારમાં ચૂંટણી સભા સંબોધશે. તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સભા સ્થળ શહેરની બહાર સાંગ નદીથી આગળના મેદાનમાં રાખવામાં આવ્યું છે. અહીંથી અંજારની સાથે મેઘપર બોરીચી, કુંભારડી અને આદિપુર પણ 5થી 10 કિમીની અંદર આવી જાય છે. તો ગાંધીધામ પણ 10 થી 12 કિમીમાં આવી જાય છે.
તો પાસમાં જ મુન્દ્રા હાઇવે પસાર થાય છે. તેથી અહીંના ગામોના લોકોને પણ સભા સ્થળ સુધી લાવી શકાશે. ચૂંટણી વખતે વડાપ્રધાન મોદીની સભા સ્થળની પસંદગી હંમેશા આવી બારીકાઇથી કરાતી હોય છે. આમ અાગામી સોમવારની સભાના સ્થળથી અંજાર અને ગાંધીધામ બન્ને સીટના મતદારોને અસર કરી શકાશે.