અરવલ્લી (મોડાસા)એક મિનિટ પહેલા
વિધાનસભાની ચૂંટણી આવતા જ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો પોતાની માગને લઈ આંદોલન, ધરણા અને ચૂંટણી બહિષ્કાર જેવા એલાનો કરતા હોય છે. ત્યારે ધનસુરા તાલુકાના વડાગામથી કારોલી સુધીના રસ્તાને લઈ ગ્રામજનોએ ચક્કાજામ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

5 ગામના લોકોએ રોડ ચક્કાજામ કર્યો
ધનસુરાથી વડાગામ અને કારોલી તરફના 5 ગામને જોડતો રસ્તો ક્વોરી ઉદ્યોગોના કારણે રસ્તા તુટી ગયા છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડાગામથી કરોલી તરફના 5 ગામના લોકોએ આજે માર્ગ ચક્કાજામ કર્યો હતો અને રસ્તો ન બને તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આમ રોડ નહીં તો વોટ નહીંનું સૂત્ર આપી કોઈપણ રાજકીય પાર્ટીને પ્રવેશ પર પણ પ્રતિબંધ ફાર્માવવાનું નક્કી કર્યું છે.
