સાબરકાંઠા (હિંમતનગર)16 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ત્રણ દિવસમાં પિલુદ્રા, ઓરણ અને મોયદ નાથાજી એમ ત્રણ અલગ-અલગ સ્થળે ચોરીના બનાવો બનાવો નોંધાયા હતાં. જેમાં તસ્કરોએ પ્રાથમિક શાળામાંથી ગેસની ખાલી બોટલો સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. હિંમતનગરમાં ઇકો-વાનમાંથી સાઈલેન્સરની ચોરી કરી હતી. જે અંગે હિંમતનગર બી-ડિવિઝન અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પ્રાંતિજ તાલુકામાં 19 નવેમ્બર થી 21 નવેમ્બર એમ ત્રણ દિવસ ચોરીના બનાવો પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતાં.

શાળામાં દરવાજાનું તાળું તોડી ચોર શાળામાં પ્રવેશ્યા
20 નવેમ્બરની રાત્રે પ્રાંતિજના ઓરણ ગામે આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાનું તાળું તોડી શાળામાં પ્રવેશ કર્યા બાદ મધ્યાહન ભોજન યોજનનાના મકાનનું તાળું તોડી અને સ્ટોર રૂમનું તાળું તસ્કરોએ તોડી અંદરથી તિરુપતિ તેલનો ડબ્બો રૂ. 2420નો, ખાલી ગેસની બોટલ રૂ. 1000 અને ત્રીજા ભાગની ભરેલી ગેસની બોટલ રૂ. 1350 મળી કુલ રૂ. 4.7 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે શાળાના આચાર્ય મીરા નીનામાએ સવારે ખબર પડતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

મધ્યાહન ભોજનના સામાનની ચોરી
બીજી ચોરીનો બનાવ 19 નવેમ્બરની રાત્રે મોયદ નાથાજી ગામે આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર આવેલ મધ્યાહન ભોજન યોજનાના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ સ્ટોર રૂમમાંથી કલ્પતરુ તેલનો ડબ્બો એક રૂ 2400, ભારત ગેસની ખાલી બોટલ એક રૂ. 1000 અને ત્રીજા ભાગનો ગેસ ભરેલ ગેસની બોટલ એક રૂ.1360 અને તુવેરદાળની બેગ એક રૂ. 1250 મળી કુલ રૂ. 6 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે શાળાના આચાર્ય આશિષકુમાર રાવલે ફરિયાદ નોંધાવી હતી.

રૂ. 40 હજારની કિંમતનું સાઈલેન્સર ચોરાયું
હિંમતનગરના જૂની સિવિલ સર્કલ પાસે જયશ્રી ગેસ્ટ હાઉસની બાજુમાં 2 નવેમ્બરની રાત્રીએ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં રાજેશ અંબાલાલ જયસ્વાલની ઇકોવાન પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો વાનનું રૂ. 40 હજારની કિંમતનું સાઈલેન્સર ચોરી ગયા હતા. વાન માલિક રાજેશકુમાર જયસ્વાલે શોધખોળ કરી, પરતું કઈ મળ્યું ન હતું. તો બીજી તરફ પોતાની બહેનને ત્યાં તલોદમાં ગયા હતા. જ્યાંથી આવ્યા બાદ અને પોલીસ સ્ટેશનના PSI ચુંટણીલક્ષી પેટ્રોલિંગમાં રોકાયા હોવાથી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 12 દિવસ મોડી નોંધાઇ હતી.


