પંચમહાલ (ગોધરા)27 મિનિટ પહેલા
- કૉપી લિંક

શહેરા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2011માં ઈ.પી.કો. 342, 365, 376 તથા એટ્રોસિટી એકટ મુજબ તથા એટ્રોસિટી 17/2011 અને 14/2015ના ગુન્હાના કામે તત્કાલીન સમયે શહેરા પોલીસ સ્ટેશનમાં અને હાલમાં લુણાવાડા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. કે.એચ.બારીઆ ગોધરા એડી.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જુબાની આપવાના કામે હાજર રહેતા ન હોવાને કારણે છઠ્ઠા એડીશનલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ ઈ.એમ.શેખનાઓએ એ.એસ.આઈ. કે.એચ.બારીઆને રૂ. 1000ની પેનલ્ટી ભરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં ચકચાર પ્રસરી જવા પામી છે.
વર્ષ 2011માં શહેરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને બળાત્કાર સંદર્ભમાં એક ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુન્હાના કામે અદાલત સમક્ષ કેસની સુનાવણી શરૂ કરવામાં આવતી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કે.એચ.બારીઆની જુબાની લેવાના કામે અદાલત દ્વારા તારીખ 22/09/2022ના રોજ સમન્સની બજવણી કરવામાં આવી હોવા છતાં પણ આ એ.એસ.આઈ. અદાલત સમક્ષ હાજર રહ્યાં ન હતા. ત્યારબાદ ફરીથી તારીખ 13/10/2022ના રોજ સમન્સની બજવણી કરવામાં આવી હોવા છતાં પણ એ.એસ.આઈ. અદાલત સમક્ષ હાજર ન રહેતા આ કેસની સુનાવણી શરૂ થઈ શકી ન હતી.
એક જવાબદાર અધિકારી તરીકે હાજર ન રહેતા અને કોર્ટને કોઈપણ જાતની જાણ કરવામાં ન આવતા આ સુનાવણી શરૂ થઈ શકી ન હોવાથી એ.એસ.આઈ. સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ પણ આ ધરપકડ વોરંટ રદ્દ કરવાની અરજી આપીને અદાલત સમક્ષ મુદ્દતમાં હાજર રહ્યાં ન હતા. અદાલતની કામગીરી પ્રત્યેની ફરજમાં પણ બેદરકારી દાખવતા હોવાનું સામે આવતા આવા કર્મચારીઓ સામે દાખલો બેસાડવો જરૂરી જણાય આવે છે. તેમજ અદાલત આવા સંજોગોમાં દંડનીય કાર્યવાહી કરતી નથી, પરંતુ આવા કર્મચારીઓ પ્રત્યે દયાભાવ રાખવામાં આવે તો અદાલતોની કામગીરીમાં સમય વેડફાય તેમ હોય છે. ત્યારે આવા કર્મચારી સામે દંડ કરવા માટે વ્યાજબી કારણ દેખાય છે. તેવા સંજોગોમાં હાલના સાહેદને રૂપિયા 1000 દંડ ભરવાનો હુકમ કરવામાં આવતા જ પોલીસ તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.