દ્વારકા ખંભાળિયા3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ચીનમાં વધી રહેલા કોરોનાના ભયજનક સંક્રમણ વચ્ચે ભારતમાં પણ કોરોના વાયરસના નવા વેરીએન્ટના પગરવ સાથે ગુજરાત રાજ્યમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધાતા સરકારી તંત્ર એલર્ટ બની ગયું છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આરોગ્યતંત્ર દ્વારા તમામ દિશાઓમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખંભાળિયા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજન, કોવિડ કેર સેન્ટર, તેમજ દવા અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

એલર્ટના અનુસંધાને તમામ જરૂરી પગલાં લેવાશે
ખંભાળિયામાં આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તેમજ દવા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા અહીંની જનરલ હોસ્પિટલના અધ્યક્ષક મનોજ કપૂરે જણાવ્યું હતું કે, ડબલ્યુ.એચ.ઓ. તરફથી જારી કરવામાં આવેલા કોરોના અંગેના રેડ સિગ્નલ સાથે રાજ્યની કમિશનર કચેરી તરફથી દ્વારા કરવામાં આવેલા એલર્ટના અનુસંધાને અહીં તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

4 પિડિયાટ્રીક સાથે કુલ 49 વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે
આ અનુસંધાને ગાંધીનગરથી પ્રોગ્રામ ઓફિસરનું પણ અત્રે આગમન થયું હતું. તેમના દ્વારા અહીંની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ચેક કરવામાં આવ્યો હતો. અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે થોડા સમય પૂર્વે પી.એમ. કેરમાંથી પ્રાપ્ત થયેલા પી.એસ.એ. (ઓક્સિજન) પ્લાન્ટ હાલ સંપૂર્ણપણે કાર્યરત છે. જ્યારે અન્ય એક ઓ.એન.જી.સી.નો પ્લાન્ટ રીપેરીંગ હેઠળ છે. અહીંની સરકારી હોસ્પિટલમાં 150 બેડનો આઈસોલેસન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ બેડ પર ઓક્સિજન સપ્લાય સુવિધા પ્રાપ્ત છે. એટલું જ નહીં, અહીં ચાર પિડિયાટ્રીક સાથે કુલ 49 વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે.

તમામ કામગીરી માટેની મોકડ્રીલનું આયોજન કરાયું હતું
હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે ફરી એક વખત કોરોના રોગચાળો વકર્યો છે. ત્યારે દ્વારકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ PSA ઓક્સીજન પ્લાન્ટ, સંલગ્ન સાધન સામગ્રી, મેન પાવર તેમજ કોરોના સંલગ્ન તમામ કામગીરી માટેની મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ તકે સરકારી હોસ્પિટલ દ્વારકાનાં અધિક્ષક ડો. વિપુલ ચંદારાણા, જિલ્લા એપીડેમિક ઓફિસર ડો. મેહુલ જેઠવા, જિલ્લા લેબોરેટરી ટેકનીશિયન જીજ્ઞેશ મથર તેમજ દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી દ્વારા આજરોજ યોજાયેલી મોકડ્રિલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા કોરોનાની સંભવિત પરિસ્થિતિ સામે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં એક પણ કોવિડ કેસ નોંધાયો નથી
કોરોનાના ઈલાજ માટે અહીં પૂરતી માત્રામાં દવાનો જથ્થો પણ છે. સાથે સાથે આગામી સમય માટે બીજો જથ્થો પણ મંગાવવામાં આવ્યો છે. દર્દીઓની સારવાર માટે ફિઝિશિયન સહિત વધારાનો તબીબી સ્ટાફ જરૂર પડે તો બહારગામથી મંગાવાની તૈયારી પણ કરવામાં આવી છે. હાલ અહીંની હોસ્પિટલમાં એક પણ કોવિડ કેસ નોંધાયો નથી.



