4 મિનિટ પહેલાલેખક: ચેતન પુરોહિત
- કૉપી લિંક
અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં એક જ દિવસમાં બે મહિલાઓની લાશ મળી આવી છે. પહેલી લાશ ગેસ મૂકવાના કબાટમાં એટલે કે ખાનામાં સંતાડી હતી. પરંતુ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ત્યારે બીજી લાશને ક્લિનિકની અંદર આવેલા કન્સલ્ટિંગ બેડની નીચેથી મળી આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસને પહેલાથી મનસુખ નામના વ્યક્તિ પર શંકા હતી. પરંતુ કેમ એક સાથે બે મહિલાઓની હત્યા થઈ તે પોલીસને પગેરું મળતું ન હતું. પોલીસે મનસુખ અને અનેક સોર્સ પાસેથી વિગતો મેળવવાની તપાસ શરૂ કરી, ત્યારે આખો મામલો મનસુખના દેવાથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. મનસુખ દેવાદાર હતો અને તેને રૂપિયાની જરૂર હતી. એટલા માટે તે રોજ સવારે પોતે જ ક્લિનિકમાં ડોક્ટરની જેમ પહોંચી જતો હતો અને ત્યાં આવતા દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરી આપતો હતો. પરંતુ આ દિવસે શું થયું તેનું દિવ્યભાસ્કર દ્વારા એક્સક્લુઝિવ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી છે જેમાં હકીકતનો પર્દાફાશ થયો છે.
દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં મળેલી માહિતી પ્રમાણે મનસુખ પોતે શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતો હતો. તેને અનૈતિક પ્રકારના વિચારો પણ આવતા હતા. પરંતુ તે શારીરિક સક્ષમ ન હોવાની વાતો વ્યક્ત થઈ હતી તેવું પોલીસ માની રહી હતી. ભારતી પોતાના પતિથી અલગ રહેતી હતી અને તે તેની માતા ચંપાબેન સાથે ખૂબ નજીક હતી.
ભારતીને કાનમાં તકલીફ હતી, એટલે તે રોજ પોતાની સારવાર માટે માતાને કહેતી હતી. આ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે કર્ણ નામની આંખ નાક ગળાની હોસ્પિટલ આવી છે. જે હોસ્પિટલમાં મનસુખ નામનો કમ્પાઉન્ડર છેલ્લા 15 વર્ષથી કામ કરે છે. ભારતીબેન અને ચંપાબેન બંને કરણ હોસ્પિટલમાં ગયા ત્યારે ભારતીના કાનમાં પડદામાં ઓપરેશન કરવાની જરૂર હતી. એટલે ડોક્ટર સાથે વાત ચાલતી હતી. ડોક્ટરે કોઈ રકમ વધારે કહી હશે એટલે એ વાતનો ફાયદો ઉઠાવવા મનસુખ એક્ટિવ થઈ ગયો હતો.
મનસુખ ચંપાબેનને કહ્યું કે તમારી દીકરીનું ઓપરેશન હું કરી આપીશ. ડોક્ટર ભલે ગમે તેટલી રકમ કહે. હું તમને ખૂબ ઓછી રકમમાં તમારી દીકરીની સારવાર કરી આપીશ. એટલે ચંપાબેન અને ભારતી તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન મનસુખ ચંપાબેન અને ભારતીને મળવા તેમના ઘરે પણ પહોંચી ગયો હતો અને તેમની પાસેથી 3000 રૂપિયા ઉછીના લીધા હતા, અને કહ્યું હતું કે ઓપરેશનમાં આ રૂપિયાનો હિસાબ કરી આપીશું. આ વાત બાદ મનસુખ ફરીથી રૂપિયાની માંગણી કરતો હતો. પરંતુ આ વખતે દીકરીનો ઓપરેશન થાય ત્યારે જ પૂરા પૈસા આપવાની વાત હતી. બીજી તરફ મનસુખને ખૂબ જ દેવું થઈ ગયું હતું. તેના ફોન પર સતત ઉઘરાણી માટે ફોન આવ્યા કરતા હતા. તે પરેશાન હતો કે શું કરવું? એટલે તેણે આ વખતે એટલે કે બુધવારે સવારે ભારતી અને ચંપાબેનને ક્લિનિક શરૂ થાય તે પહેલા બોલાવ્યા હતા.
આ માટે તેમણે બંનેને 9:30 વાગે પહેલા આવવા જણાવ્યું હતું. કારણ કે મનસુખ દરરોજ ક્લિનિકમાં 9. 30 થી 10:30 સુધી સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો અને આ સમયે આવતા એટલે કે તેના અગાઉથી જે દર્દીઓને આ સમય આપ્યો હોય તે સમયે દર્દીની સારવાર કરતો હતો અને રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો. જે ક્લિનિકમાં જમા થતા ન હતા અને સીસીટીવીની અંદર પણ કોઈ ફૂટેજ દેખાતા ન હતા. સીસીટીવી બંધ કરવાની એક સ્વીચ અંદરના રૂમમાં કન્સલ્ટિંગ બેડ પાસે આવેલી હતી. જે તે દરરોજ પોતાના પેશન્ટોને ચેક કરવા માટે વાપરતો હતો.
બુધવારે સવારે ભારતીબેન અને ચંપાબેન કરણ હોસ્પિટલમાં પહોંચ્યા, ત્યારે મનસુખ ત્યાં હાજર હતો. એક વ્યક્તિનું ઓપરેશન થયેલું હતું. ભારતીબેન અને ચંપાબેન ત્યાં પહોંચ્યા એટલે તેણે આ દર્દીને કહ્યું કે, અંદર દવા છાંટવાનું કામ ચાલે છે એટલે તમે બહાર જતા રહો. એ દર્દી બહાર ગયા બાદ ભારતીબેનને અને ચંપાબેનને મનસુખે અંદર બોલાવ્યા હતા. જ્યાં નક્કી કર્યા પ્રમાણે ભારતીબેનના કાનનું ઓપરેશન કરવાનું હતું. મનસુખ પોતે ડોક્ટર ન હતો પણ અનુભવી હતો. એટલે તેણે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભર્યું અને ભારતીબેનને અંદર આવેલા ઓપરેશન થિયેટર પાસે લઈ ગયો. ત્યાં આ ઇન્જેક્શન માર્યું હતું. આ સમયે ચંપાબેન પણ ત્યાં હાજર હતા.
ઇન્જેક્શન મૂક્યા બાદ ભારતીબેનને બહુ અસર થઈ નહીં એટલે મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ ભારતીબેનને આપ્યો હતો. પણ આ વખતે દવાનો ડોઝ ભારતીબેન પર અસર કરવા લાગ્યો, પરંતુ ભારતીબેન બેભાન થવાની જગ્યાએ ડચકા મારવા લાગ્યા અને તેમને જાણે ખેંચ આવી હોય તેમ તરફડિયા મારવા લાગ્યા હતા. આ બધું ચંપાબેન જોઈ રહ્યા હતા. પોતાની દીકરીને તરફડિયા મારતા જોઈને ચંપાબેન બેભાન થઈ ગયા હતા. થોડી જ મિનિટમાં ભારતીબેન મૃત્યુ પામ્યા હતા. જેથી મનસુખ ગભરાઈ ગયા હતા અને હવે ચંપાબેનને આ બધી વાતની ખબર હતી, એટલે તેનો ભાંડો ફૂટી જશે અને આટલા વર્ષોથી તેણે કરેલા તરકટ સામે આવી જશે. જે શંકા જતાં મનસુખે ચંપાબેનનું ગળું દબાવીને તેમને મારી નાખ્યા હતા.
આ બધાની સાથે હવે લાશનો નિકાલ કઈ રીતે કરવો તેની ચિંતામાં પડ્યો હતો. કારણકે હવે થોડા સમયમાં દર્દી અને ડોક્ટર બંને આવવાના શરૂ થવાના હતા. એટલે તેણે ભારતીબેનની લાશ ઓપરેશન થિયેટરમાં આવેલા એક ખાનામાં એટલે કે નાના કબાટમાં મૂકી દીધી હતી. જ્યાં કબાટમાં ગેસનો બાટલો હતો, તે બહાર કાઢી મુક્યો હતો. જ્યારે કન્સલ્ટિંગ ટેબલની નીચે ચંપાબેનની લાશને સંતાડી હતી. હવે કોઈને ખબર નહીં પડે તેમ માનીને મનસુખ 10:30 વાગે સીસીટીવી કેમેરા ચાલુ કરી દીધા હતા. પરંતુ ડોક્ટર ત્યાં આવે ત્યારે તેમણે ગેસનો બાટલો તેમજ ખાનાની બહાર ચપ્પલ જોયા હતા. એટલે તેમણે ખાનું ખુલતા ભારતીની લાશ પડી હતી એ જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસને ભારતીની લાશ મળ્યા બાદ આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ભારતીની સાથે તેની માતા પણ આવી હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. પરંતુ ભારતીની લાશ મળી પણ ચંપાબેન ક્યાંય દેખાય નહીં, એટલે તેમના પરિવારે તેમને શોધવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આ તપાસ દરમિયાન ચંપાબેન ક્યાંય બહાર જતાં દેખાતા ન હતા. એટલે વધુ તપાસ ક્લિનિકમાં કરતા બેડની નીચેથી ચંપાબેનની પણ લાશ મળી આવી હતી.
ગતિવિધિ કરનાર મનસુખને હાલ ઝડપી લીધો છે અને તેની પાસેથી વધુ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ અગાઉ પણ તેણે આવી રીતે કોઈને ટ્રીટમેન્ટ કરીને નુકસાન પહોંચાડેલું છે કે કેમ તે શોધવા પ્રયાસો શરૂ કર્યા છે.