અમદાવાદ3 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાકિસ્તાનની જેલમાં 28 વર્ષ રહીને આવેલા ચાંદખેડાના કુલદીપ યાદવને અમદાવાદમાં આવ્યા ને ચારેક મહિનાનો સમય થઈ ગયો છે. યુવાન વયે પાકિસ્તાન ગયેલા કુલદીપ હવે 59 વર્ષની વય વટાવવાની ઉંમરે પહોંચી ગયા છે. ચાર મહિના દરમિયાન તેમને બીમારી થતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તેમનો પરિવાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો અને NGO તેમની વહારે આવી હતી. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની માટે અહેવાલ પ્રસારિત કર્યો હતો. એને પગલે દિવ્ય ભાસ્કરના વાચકોએ પણ તેમની મદદ કરી હતી અને ચારેક દિવસના ગાળામાં કુલદીપને આશરે 7 લાખ રૂપિયાની મદદ મળી ચૂકી છે.
કુલદીપ 32 વર્ષ બાદ પહેલી વખત ભારતમાં આવ્યા તેનો અહેવાલ પણ દિવ્ય ભાસ્કરે જ પ્રકાશિત કર્યો હતો. એ વખતે પણ તેમને રૂપિયા 2 લાખથી વધુની મદદ મળી હતી. આમ, હાલ સુધીમાં તેમને કુલ 9 લાખ રૂપિયાની રકમ મળી છે. વાચકોએ રૂપિયા 100થી લઈને 2000 સુધીની યથાયોગ્ય મદદ કરી છે. ઉપરાંત રૂપિયા 9 લાખમાંથી 5 લાખ રૂપિયા એક ખાનગી કંપની તરફથી આપવામાં આવ્યા છે.

જો તમે મદદ કરવા માંગતા હોવ તો આ તેમની બેન્કની માહિતી છે.
કોણ છે કુલદીપ યાદવ?
કુલદીપ યાદવ અમદાવાદ ચાંદખેડાના રહેવાસી છે. વકીલાતનું ભણતર અધૂરું મૂક્યા બાદ એ પરિવારને સપોર્ટ કરવા નોકરી શોધતા હતા. દરમિયાન દેશ સેવ કરવાનો મોકો મળ્યો અને વર્ષ 1992માં એ પાકિસ્તાન ગયા હતા. એ પછી વર્ષ 1994માં એ પકડાઈ ગયા હતા. એમની સામે જાસૂસીનો કેસ ચાલી જતાં પાકિસ્તાને તેમને 1996માં લાઇફ ઇમ્પ્રિમેન્ટની સજા આપી હતી. એ પછી 22 ઓગસ્ટ, 2022 ના રોજ તે ભારતમાં પોતાના ઘરે પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે પંજાબના સરબજીતસિંઘ પણ તેમના મિત્ર હતા અને બંને એક જ જેલમાં સાથે હતાં. દિવ્ય ભાસ્કરે ફરી મુલાકાત કરી તો કુલદિપે કહ્યું કે ‘મને પાકિસ્તાનથી પરત આવ્યાને ચાર મહિના થઈ ગયા છે. મારો નાનો ભાઈ સિક્યોરિટીમાં નોકરી કરે છે. તેની પત્ની ગૃહિણી છે. તેનાં બે બાળક સ્કૂલમાં ભણે છે. મારાથી નાનો ભાઈ દિલીપ છે. એ બીએસએફમાંથી રિટાયર છે. તેની પાસે હાલમાં કોઈ કામ નથી.’