સુરત13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ચીટર ટોળકીએ મહિધરપુરાના જૈન જ્વેલર્સના માલિક સાથે છેતરપિંડી કરી
મહિધરપુરાના સ્વસ્તિક આર્કેડમાં જૈન જ્વેલર્સ નામની ભાગીદારી પેઢીમાં સોના-ચાંદીની બિસ્કિટનો વેપાર કરતા પ્રફુલ રાઠોડ પર 20 ડિસેમ્બરે કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ રિધ્ધિ-સિધ્ધિ બુલિયન નામની સોના-ચાંદીની કંપનીના માલિક પૃથ્વીરાજ કોઠારી બોલે છે.
અને તેઓને સુરતમાં કોઈ અશોક જૈન નામના સોના-ચાંદીના વેપારીને 35 લાખની રકમનું પેમેન્ટ તાત્કાલિક કરવાનું છે. તમારે મુંબઈમાં કોઈ પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય તો અમે કરી આપીશું. આથી વેપારી અને તેના ભાગીદારોએ જે નંબરથી ઠગે વાત કરી હતી તે નંબરને ટુ-કોલરમાં ચેક કરતાં તેમાં નામ પૃથ્વીરાજ કોઠારી નામ આવતું હતું, આથી વેપારીને વધારે વિશ્વાસ બેસી ગયો હતો. પછી વેપારીને ટોકન નંબર મોક્લ્યો અને જ્યારે રૂપિયા લેવા અશોક જૈનના કહેવાથી વિજય હીરપરા આવ્યો ત્યારે જે તે ટોકન નંબરની 10 રૂપિયાની નોટ લઈને આવ્યો હતો. વેપારીએ નંબર વેરીફાઇ કરીને તેના ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ લઈ તેને 35 લાખની રોકડ આપી દીધી હતી.
બાદમાં બંનેના ફોન બંધ થઈ જતા વેપારીએ રિધ્ધિ-સિધ્ધિની ઓફિસનો નંબર મેળવી મેનેજર ગોપાલ સાથે વાત કરી હતી, જેમાં તેઓની કંપનીનું નામ વાપરી અગાઉ પણ ચીટીંગ થઈ હોવાની વાત કરી છે. કંપનીના માલિકનો મોબાઇલ નંબર અલગ હતો અને અશોક જૈન નામના કોઈ વેપારીને તેઓ ઓળખતા પણ નથી. સોનાના વેપારી પ્રફુલ રાઠોડે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતાં વિજય હિંમત હરપરા (49)(રહે, વર્ધમાન સોસા, નાના વરાછા), પૃથ્વીરાજ કોઠારી અને અશોક જૈન સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
પેમેન્ટ આપ્યાની 10 મિનિટ પછી ફોન સ્વીચઓફ
પેમેન્ટ આપ્યાની 10 મિનિટ પછી વેપારીએ પૃથ્વીરાજ કોઠારીને મુંબઈમાં વેપારી હરેકૃષ્ણ બુલાયને પેમેન્ટ કરાવી દેવાની વાત કરી હતી. પછી પેમેન્ટ ન આવતા પૃથ્વીરાજને ફોન કરતા સ્વીચ ઓફ થઈ ગયો હતો. એટલું જ નહિ અશોક જૈનનો પણ ફોન બંધ આવતો હતો.