અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

વિશ્વ સકલની જિજ્ઞાસાનું આકર્ષણ કેન્દ્ર એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે રચાયેલું વિશાળ પ્રમુખસ્વામી નગર અનેક વિશેષતાઓથી ભરપૂર છે. તેની સુંદરતા અને કલાકૃતિ જેટલી મનમોહક છે, તેટલી જ તેની સ્વચ્છતાની વ્યવસ્થા પણ BAPS સંસ્થાની ઊંડી સમજ અને જાગૃતિને વ્યક્ત કરે છે.
2150 સ્વયંસેવકો નગરની સ્વચ્છતા માટે કટિબદ્ધ
અમદાવાદ શહેરના એસ.પી રિંગ રોડના કિનારે 600 એકરમાં રચાયેલા આ વિરાટ મહોત્સવ નગરમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અનેક રીતે સૌ એક મહિના દરમિયાન વિશ્વભરના કરોડો લોકો પધારવાના છે. તેથી અહીં સ્વચ્છતા બાબતે પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. આ વાક્યને જીવન મંત્ર બનાવીને 2150 સ્વયંસેવકો પ્રમુખસ્વામી મહારાજ નગરની સ્વચ્છતા વ્યવસ્થા માટે કટિબદ્ધ છે.
75 એકરમાં લોકો માટે આવાસની વ્યવસ્થા
નગરના 600 એકરના વિશાળ પ્રાંગણમાં 200 એકરમાં દર્શનીય નગર છે, 400 એકરમાં પાર્કિંગ વિસ્તાર છે. તેમાંથી 38 એકરમાં રસોડું તેમજ 75 એકરમાં લોકો માટે ઉતારા (આવાસ)ની વ્યવસ્થા કરવામાં છે. પ્રમુખસ્વામી મહારાજ નગરનો સ્વચ્છતા વિભાગ આ સંપૂર્ણ પરિસરને સ્વચ્છ રાખવા કટિબદ્ધ છે. નગરના મુખ્ય ભાગમાં 21 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ભૂભાગમાં પેવર બ્લોક પથરાયેલા છે. આ વ્યવસ્થા દર્શનીય નગરને ડસ્ટફ્રી બનાવે છે. નગરમાં 7 વિશાળ પ્રવેશદારો છે. દરેક દ્વારની બંને બાજુ વિશાલ શૌચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેમ્પરરી પણ પરમેનેન્ટ બાંધકામ કેવું હોઈ શકે તે અહીં 240 પાકા બાંધકામવાળા શૌચાલયો દ્વારા સાર્થક થયું છે. દરેક શૌચાલયની બહાર સુગંધી ફુલછોડનો નાનો બગીચો રચવામાં આવ્યો છે. નગરમાં ઠેર ઠેર મળીને કુલ 1700થી વધુ કચરાપેટીઓ મૂકવામાં આવી છે. જેમાં એકઠા થનારા કચરાનું રોજેરોજ વર્ગીકરણ કરીને તેનો નિકાલ કરવામાં આવશે.
શાકભાજીના વેસ્ટમાંથી ખાતર બનાવાશે
નગરમાંથી એકઠા થનાર અનુપયોગી ફ્રુટ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલુંક ખાતર બનાવવામાં વપરાશે. તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારારૂપે પણ જશે. સાથે જ ભેગા થનાર પ્લાસ્ટિકના કચરાનો પણ અનેક રીતે સદુપયોગ થઈ રહ્યો છે. અહીં પ્લાસ્ટિકની બોટલોને ભેગી કરીને તેમાંથી કલાત્મક રીતે કચરાપેટીઓ બનાવાઈ છે.
સ્વયંસેવકોમાં કેટલાક ડીગ્રીવાળા તો કેટલાક ઉદ્યોગપતિઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરમાં પ્રતિદિન લાખો ભક્તો આવશે, તે નજરમાં રાખીને દર કલાકે ટોયલેટ બ્લોક સ્વચ્છ રાખવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રોગાણું નાશક દવાનો પ્રયોગ તેમજ ફોગસ્પ્રે દ્વારા મચ્છર દૂર કરવા નિયમિત છંટકાવ કરીને ભક્તોના સુસ્વાસ્થ્યનો પણ વિચાર કરવામાં આવ્યો છે. વળી, આખા નગરનું ઝોન પ્રમાણે વિભાગીકરણ કરીને તેની સ્વચ્છતાનું સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે કુલ 10 સંતો અને 2150 જેટલા મહિલા અને પુરુષ સ્વયંસેવકો રાત દિવસ પુરુષાર્થ કરી રહ્યા છે. આ સ્વયંસેવકોમાંથી કેટલાક મોટી ડીગ્રી ધરાવે છે, વળી કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પણ છે.
બિલ્ડર હોવા છતાં સફાઈની સેવામાં જોડાયા
અમદાવાદ નિવાસી હિતેશ જોગલ મોટા બિલ્ડર હોવા છતાં સફાઈની સેવા શ્રદ્ધા અને મહિમાપૂર્વક કરી રહ્યા છે. તેઓ કહે છે કે “પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે આપણે ભક્તો માટેનું પરિસર ચોખ્ખું રાખીશું તો ભગવાન આપણું અંતર-મન ચોખ્ખું કરી દેશે. સ્વામીશ્રીના આ વાક્યથી મને સેવાની પ્રેરણા મળી છે.” પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ આ વિભાગની મુલાકાત લઈને તેઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.