અમદાવાદ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે પ્રમુખસ્વામી નગરમાં બી.એ.પી.એસ. તથા એન.ડી.ડી.બી.ના સંયુક્ત ઉપક્રમે દૂધના ઉત્પાદનમાં આધુનિકતા વડે વધારો કરવા માટે પશુપાલકોને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશભાઇ શાહે જણાવ્યું હતું કે, આપણે 2030 સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યાં છીએ. આ ઉપરાંત અનેક મહાનુભાવોએ પોતાનું પ્રવચન આપ્યું હતું.
દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો
BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, “આજે વિશિષ્ટ કોન્ફરન્સ છે. જેમાં ટેકનોક્રેટ્સની સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો છે. વર્ગીસ કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ એવું કહેતા કે ‘જયારે હું પ્રમુખસ્વામી મહારાજના કાર્ય સામે જોઉ છું ત્યારે મારી સિદ્ધિઓ વામણી લાગે છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકાય છે.”
પ્રમુખસ્વામી મહારાજ શુદ્ધ અને સારપયુક્ત વ્યક્તિત્વ છે
BAPSના ભગવતચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, “ડૉ. કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે વિશેષ લગાવ હતો. જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર આવતાં ત્યારે ડૉ. કુરિયન તેમની મુલાકાતે આવતા હતા. તેઓ કહેતા, “પ્રમુખસ્વામી મહારાજ શુદ્ધ અને સારપયુક્ત વ્યક્તિત્વ છે, તેમાં કોઈ બેમત નથી.’
વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા
‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે, “આજે આ કોન્ફરન્સ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શક્ય બની છે. આપણે 2030 સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છે.
એક નાનકડો વિચાર આજે મોટા ઉદ્યોગમાં પરિવર્તિત
GCMMFના મેનેજિંગ ડિરેકટર ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, “ BAPS સંસ્થાનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કોન્ફરન્સ માટે આભાર માનું છું. અમૂલના સ્થાપકો, ખેડૂતો અને તેમાં જોડાયેલાં સર્વેનો પણ અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે અભિનંદન આપું છું. એક નાનકડો વિચાર, જે આજે 61 હજાર કરોડના ઉદ્યોગમાં પરિવર્તિત થયો.”
ધર્મને કેન્દ્રમાં રાખીને સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ
પશુપાલન અને મત્સ્યઉદ્યોગના રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, “ધર્મને કેન્દ્રમાં રાખીને કેવી રીતે સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ તેના પાઠ શીખવવા બદલ હું BAPSનો આભાર માનું છું.”