સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
સુરત એરપોર્ટથી મુસાફરી કરનારા પેસેન્જરોનો આંકડો બહાર પાડવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ સહિતનો અન્ય પ્રોજેક્ટનું અધૂરુ કામ, એરલાઇન્સ કંપનીઓની આંતરીક સમસ્યાને જવાબદાર ગણવામાં આવે છે.
નવેમ્બર 2022 સુધીમાં 10.83 લાખ લોકોએ મુસાફરી કરી
2022માં સુરત એરપોર્ટ ઉપરથી નવેમ્બર મહિના સુધી અંદાજીત 10.83 લાખ લોકોએ મુસાફરી કરી હતી. મળતી માહિતી અનુસાર સુરત એરપોર્ટ ઉપર નવેમ્બર મહિનામાં શિડયુલ ડોમેસ્ટીક ફ્લાઇટમાંથી 94008 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મારફતે 2470 લોકોએ મુસાફરી કરી છે. વર્ષ-2022માં 11 મહિનામાં સુરત-શારજાહ વચ્ચે 25487 લોકોએ મુસાફરી કરી છે. જ્યારે ભારત દેશની અંદર જ સુરત એરપોર્ટ ઉપરથી 10.83 લાખ લોકોએ મુસાફરી કરી છે.
ગત વર્ષ કરતા 23 ટકા મુસાફરોમાં ઘટાડો
બીજી તરફ વર્ષ-2021માં નવેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ ઉપરથી 1,23,346 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે ચાલુ વર્ષે માત્ર 94,008 લોકોએ જ મુસાફરી કરી છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુસાફરોની સંખ્યામાં 23.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટર્મિનલ બિલ્ડીંગના કામને કારણે અનેક સમસ્યા
એરપોર્ટમાંથી મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટ ઉપર હાલમાં ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક, નોટમ તેમજ અન્ય સમસ્યાને કારણે ઘણીબધી ફ્લાઇટ ઓછી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓના પણ પોતાના કેટલાક પ્રોબ્લેમ હોવાને કારણે તેઓએ ફ્લાઇટ ઓછી કરી નાંખી છે. પરંતુ આગામી 2023માં સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગનું કામ પુરુ થઇ ગયા બાદ વધુ ફ્લાઇટ આવે તેવી શક્યતા છે.