અમદાવાદ40 મિનિટ પહેલા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું રહ્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં 12 એવા ચહેરા છે, જે ચૂંટણી પહેલાં અને ચૂંટણી દરમિયાન હંમેશાં ચર્ચામાં રહ્યા છે. રીવાબા જાડેજા, હાર્દિક પટેલ, ઈસુદાન ગઢવી, અલ્પેશ ઠાકોર, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઇટાલિયા, જિજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા, મધુ શ્રીવાસ્તવ, કાંધલ જાડેજા, પબુભા માણેક અને કાંતિ અમૃતિયા આ 12 ચહેરા પર સૌકોઈની નજર છે.
આ ટોપ 12 ચહેરા અંગે જાણો…
1. રીવાબા જાડેજા (ભાજપ)- જામનગર ઉત્તર
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને ક્રિકેટજગતના ઓલરાઉન્ડર પ્લેયર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા છે. રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારુંએવું પ્રભુત્વ છે. પોતાના કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માગતાં હતાં, એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતાં હતાં. રવીન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયાં હતાં. રીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે.
ક્યાંથી છે રીવાબાનો પરિવાર
રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. હરદેવસિંહને સંતાનમાં રીવાબા એકમાત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢિયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે. રીવાબાનો સ્વભાવ એકદમ સીધોસાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેમનો નેચર ડાઉન ટુ અર્થ છે. આ ચૂંટણીમાં રીવાબાએ ભાજપના નવા ચહેરા તરીકે જીત મેળવી છે.
2. હાર્દિક પટેલ (ભાજપ)- વિરમગામ
અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પર 29 વર્ષીય હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર છે. હાર્દિક પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હતો. તેણે 2015માં અમદાવાદમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકઠા કરી આંદોલન રણશિંગુ ફૂંક્યું હતું. બાદમાં ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું હતું. આંદોલનમાં પાટીદારના 14 યુવાનનાં મૃત્યુ થયાં હતાં. હાર્દિક પટેલના પાટીદાર આંદોલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપે ઘણી સીટો ગુમાવી હતી. બાદમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયો હતો. હવે જીત મેળવી છે.
3. ઈસુદાન ગઢવી (આપ)- ખંભાળિયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો CM ચહેરો અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળિયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતા. બાદમાં ઈસુદાન તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાયી થયાં હતાં. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ સપ્ટેમ્બર 2005માં હૈદરાબાદ ખાતે એક ગુજરાતી ચેનલમાં જોડાયા હતા.
ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ તરીકે ઓળખ મળી
2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં એક ગુજરાતી ચેનલમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 સુધીમાં ઈસુદાને ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રિલેટેડ સ્ટોરીમાં સ્ટેટ બ્યૂરો ચીફ તરીકે ગાંધીનગરમાં કામ કર્યું હતું. ત્યાર બાદ 2015માં તેઓ સ્થાનિક ગુજરાતી ચેનલના સૌથી યુવા હેડ તરીકે જોડાયા હતા, જેમાં તેમણે સ્પેશિયલ પ્રોગ્રામ, ઈન્વેસ્ટિગેટિવ ન્યૂઝ સ્ટોરીને મહત્ત્વ આપ્યું. બાદમાં તેમણે મહામંથન નામના ડિબેટ શોના હોસ્ટ તરીકે શરૂઆત કરી અને આ શો ગુજરાતમાં લોકપ્રિય બની ગયો હતો. બાદમાં ચેનલમાંથી રાજીનામું આપીને પત્રકારત્વ છોડીને રાજકારણમાં ડગ માંડ્યાં હતા. આપ દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર કર્યા હતા. જોકે ખંભાળિયા બેઠક પરથી તેમની હાર થઈ છે.
4. અલ્પેશ ઠાકોર (ભાજપ)- ગાંધીનગર દક્ષિણ
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષથી પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. 2017માં કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી જીત મેળવી અને ધારાસભ્ય બન્યા હતા. બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને 2019ની રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં તેમની હાર થઈ હતી. તેમની પત્નીનું નામ કિરણ ઠાકોર છે અને સંતાનમાં બે પુત્રો ઉત્સવ અને અભય છે.
2013માં ઠાકોર સેનાની સ્થાપના કરી
અલ્પેશ ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા હતા. 2008માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા હતા. 2013માં ઠાકોરસેનાની સ્થાપના કરી હતી. 2016માં પાટીદાર આંદોલનના પગલે oss એકતા મંચની સ્થાપના કરી હતી. ભાજપમાંથી ટિકિટ મેળવી વિજેતા થયા છે.
5. અલ્પેશ કથીરિયા (આપ)- વરાછા માર્ગ
સુરતની વરાછા માર્ગ બેઠકના આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે એ ખબર જ નહોતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. અમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો હતો.
રાજદ્રોહના કેસમાં કથીરિયાએ જેલવાસ ભોગવ્યો
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો હતો. અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો સૌથી સ્વીકૃતિ ચહેરા પૈકીનો એક છે. અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની આપમાંથી રાજકીય સફર શરૂ થઈ હતી, જેમાં પહેલી ચૂંટણીમાં જ હાર મળી છે.
અલ્પેશના ફિયાન્સી ભાજપના નેતા
એક વર્ષ પહેલાં અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

6. ગોપાલ ઇટાલિયા (આપ)- કતારગામ
સુરતની કતારગામ બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. તેમણે હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન શરૂ કર્યું હતું. ગોપાલ ઈટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુ ધર્મને કથિત રીતે અપશબ્દો કહેવાને કારણે ચર્ચામાં છે. ગોપાલ ઇટાલિયા ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે. કતારગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડતાં હાર થઈ છે.
2013માં પોલીસ કોન્સ્ટેબલ બન્યા
ઈટાલિયા 2013માં ગુજરાત પોલીસમાં જોડાયા હતા. તેઓ અમદાવાદમાં કોન્સ્ટેબલ તરીકે લોક રક્ષક દળનો ભાગ હતા. તેની નજીકના લોકો તેને નિરંતર આગળ વધતા રહેતા માણસ તરીકે વર્ણવે છે. 2014માં ઈટાલિયાને અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્કની નોકરી મળી હતી. જોકે તેમને ત્રણ વર્ષમાં મહેસૂલ વિભાગની આ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. બાદમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પર જૂંતુ ફેંકતાં મીડિયામાં છવાયા હતા.
7. જિજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ)- વડગામ(SC)
વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વડગામ મતદાર ક્ષેત્રના પ્રતિનિધિ છે. તેમણે એક સામાજિક ચળવળકાર અને વકીલ તરીકે પણ કામ કર્યું છે. તેમણે 2016માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી. મેવાણીનો જન્મ 11 ડિસેમ્બર 1982માં અમદાવાદ ખાતે થયો હતો. તેમનું કુટુંબ મેઉ, મહેસાણા જિલ્લાનું વતની છે. તેમણે પોતાનો શાળા અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો.
મેવાણીએ પત્રકાર તરીકે પણ કામ કર્યું
જિજ્ઞેશ મેવાણીએ 2003માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 2004માં તેમણે પત્રકારત્વ અને જનસંચારમાં ડિપ્લોમા કર્યું હતું. 2004થી 2007 સુધી તેમણે એક ગુજરાતી સાપ્તાહિકમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2013માં તેમણે ડી.ટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.
8. ચૈતર વસાવા (આપ)- વડગામ(SC)
ગુજરાતના રાજકારણમાં એક વિચારતા કરી મૂકે એવી ઘટનાએ આકાર લીધો છે. એક સમયે જેનો ડંકો વાગતો હતો એ ‘દાદા’ નામથી પ્રખ્યાત છોટુભાઈ વસાવાના ગઢના કાંગરા ખરવા લાગ્યા છે. એક 34 વર્ષના આદિવાસી યુવાન ચૈતર વસાવાએ બીટીપીની વિરાસતને પડકાર ફેંક્યો છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી આપમાંથી ચૂંટણી મેદાનમાં ઊતર્યો છે. નળિયાવાળું સામાન્ય ઘર, લાદીના બદલે માટીનું લીપણ કરીને રહેતા ચૈતર વસાવાની આજકાલ ચારેબાજુ ચર્ચા છે, જેમાં જીત થતા વધારો થયો છે.
ખેતી અને લેબક કોન્ટ્રેક્ટરનું કામ કરે છે
ચૈતર વસાવા 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે. આજે પણ સામાન્ય સ્થિતિમાં જ જીવે છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર થયું ત્યારે ડેડિયાપાડા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ હતો. ચૈતર વસાવાએ પહેલીવાર આપમાંથી ધારાસભાની ઉમેદવારી કરી છે. ચૈતર વસાવાનો પરિવાર ખેતી ઉપરાંત લેબર કોન્ટ્રેક્ટનાં નાનાં કામો પણ કરે છે.
9. મધુ શ્રીવાસ્તવ (અપક્ષ)- વાઘોડિયા
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવ રાજકારણની શરૂઆતથી જ વ્યવસાય અને નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે. એ વિવાદ તેમનો હજુ પીછો છોડતો નથી. 1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી દીધી. ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષમાંથી ચૂંટણી મેદાને ઊતર્યા હતા. જોકે વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ છે.
પિતા ભારતીય સેનામાં હતા
મધુ શ્રીવાસ્તવ મૂંછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેઇન, વીંટીઓ અને માથા પર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ બધા નેતાઓથી અલગ તરી આવે છે. તેઓ એસયુવી કારના પણ ભારે શોખીન છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતાની છે. મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતાબેન સાથે થયા હતા અને તેમને 2 સંતાન દીપક અને વિજયાલક્ષ્મી છે. તેમનાં પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યાં છે અને તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.
10. પબુભા માણેક (ભાજપ)- દ્વારકા
ગુજરાતના પોલિટિક્સમાં અમુક એવા રાજકારણીઓ છે જે તેના દેખાવ અને અંદાજના કારણે બીજાથી અલગ જ તરી આવે છે. આવા જ એક દબંગ નેતા એટલે પબુભા માણેક. દ્વારકામાં છેલ્લી 7 ટર્મથી ચૂંટાઈ આવતાં પબુભા માણેકને ભાજપે ફરી રિપીટ કર્યા છે. 1990માં તેમના વિસ્તારના તમામ સમાજના લોકો તેમના પિતા પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમને આટલું બધું શંકરાચાર્યે આપ્યું છે. તમે બધા સમાજની સેવાનાં કામ કરો છો તો રાજકારણમાં તમારો છોકરો અમને આપી દ્યો, બાકીની જવાબદારી અમારી.
રાજકીય ક્ષેત્રે પબુભા સીધા જ ધારાસભ્ય બન્યા
પબુભા ક્યાંય પણ સરપંચ તરીકે પણ ચૂંટાઇ આવ્યા નહોતા અને ડાયરેક્ટ તેઓ પ્રથમવાર અપક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં કોંગ્રેસ અને ભાજપમાં જોડાઇ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. કોંગ્રેસમાં મને શંકરસિંહ વાઘેલા લાવનારા હતા. ભાજપમાં મને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા હતા. કોઈ ખોટી રીતે અને ધર્મ વિરુદ્ધ વાતો કરે તો તેઓ પોતાની દબંગાઇ દેખાડે છે. આ વખતે 8મી ટર્મ માટે ચૂંટણી લડ્યા અને જીતી ગયા છે.
11. કાંધલ જાડેજા (અપક્ષ)- કુતિયાણા
પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનું રાજ હોય તે વું વર્ચસ્વ છે. કુતિયાણા બેઠક પરથી NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધું હતું. કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ અહીંના રાજકારણનો રંગ ‘લાલ’ છે. આ સીટ પર 2007 પછી ક્યારેય ભાજપ કે કોંગ્રેસને જીત મળી નથી. આ વખતે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડતાં જીત થઈ છે.
12. કાંતિ અમૃતિયા (ભાજપ)- મોરબી
પ્રથમ વખત 1995માં કાંતિભાઈ અમૃતિયાએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ M.L.A તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાંતિભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મતવિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. મોરબી દુર્ઘટનામાં નદીમાં કૂદીને તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ ભાજપે ફરી તેમને ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા, જેમની જીત થઈ છે.