ગાંધીનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કોર્પોરેશનમાં એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી કરતા લોકો સાથે દરરોજ કોઈ માથાકૂટ થઇ રહી છે
ગાંધીનગર કોર્પોરેશનમાં મંગળવારે સાંજે મારામારીની ઘટના બની હતી. જેમાં કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ અને પ્યુન વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડને માથામાં ખુરશી મારી દેવાતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.
ઘટનાને પગલે મનપા દ્વારા આઉટસોર્સના ક્લાર્ક અને પ્યુનને તાત્કાલિક અસરથી છૂટાં કરવા આદેશ કરાયો હતો. ઘટનાની વિગતો પ્રમાણે કોર્પોરેશનની નવી બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ કરાયા છે. જેમાં એન્ટ્રી ગેટમાં એક્ઝિટ થતાં લોકો અને એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી મારતા લોકો સાથે દરરોજ કોઈ માથાકૂટ થાય છે. ત્યારે મનપામાં 24 કલાકમાં બે મોટી માથાકૂટ સામે આવી હતી.
સિક્યુરિટી ગાર્ડ અને પ્યૂન વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઇ
મંગળવારે સાંજે બનેલી ઘટનામાં પ્રત્યક્ષદર્દીઓના જણાવ્યા મુજબ મનપામાં એક્ઝિટ ગેટ પર રઘુભાઈ દંતાણી નામના સિક્યુરિટીગાર્ડ તૈનાત હતો. આ સમયે મનપાની ઓડિટ શાખામાં ફરજ બજાવતા કર્મરાજ ઉર્ફે હેલ્લી એક્ટિવા લઈને આવ્યો હતો. જેમાં એક્ઝિટ ગેટથી આવતા કર્મરાજને સિક્યુરિટી ગાર્ડ રઘૂએ રોકતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.
જેમાં બંને સામસામે ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. આ સમયે મનપામાં ક્લાર્ક તરીકે રહેલ રવિરાજ વાઘેલા પણ દોડી આવ્યો હતો. જે વચ્ચે પડતાં સિક્યુરિટીને તેને સાથે પણ માથાકૂટ થઈ હતી. બીજી તરફ કર્મરાજ અને સિક્યુરિટીગાર્ડ વચ્ચે છૂટાંહાથની મારામારી થતાં કર્મરાજ સિક્યુરિટીગાર્ડને માથામાં ખૂરશી મારી દીધી હતી.
ઘટનાને પગલે લોહીલુહાણ થયેલા સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક સિવિલ લઈ જવાયો હતો. જ્યાં તેને માથામાં ચાર ટાંકા આવ્યા હોવાનું નિદાન થયું હતું. સિવિલ ખાતે સિક્યુરિટી ગાર્ડે રવિ અને તેના ચાર-પાંચ મિત્રોએ હુમલો કર્યો હોવાનું લખાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે ચેરમેન જશવંત પટેલ દ્વારા ક્લાર્ક અને પ્યુનને છૂટાં કરી દેવાના આદેશ આપ્યા હતા.
યુવાન મનપાના ગેટને તાળંુ મારી જતો રહ્યો
બીજી ઘટના સોમવારે મોડી સાંજે બની હતી, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં અવારનવાર કામ માટે આવતા મેહુલ નામના કોઈ શખ્સને સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ થઈ હતી. એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી બાબતે થયેલી માથાકૂટ બાદ આ શખ્સ ગેટને તાળુ મારીને જતો હતો.
મળેલી માહિતી મુજબ આ જ સમયે જ્યારે મેયર નીકળ્યા ત્યારે ગેટને તાળુ મારેલું હતું. જેને પગલે તાત્કાલિક અસરથી કટરથી લોક કાપીને ગેટ ખોલવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ ગેટને તાળુ મારી દેનાર શખ્સ નશામાં હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. જેને પગલે પોલીસને ફોન કરીને પીસીઆર પણ બોલાવાઈ હતી. જોકે મંગળવાર સાંજ સુધી આ મુદ્દે કોઈ ફરિયાદ થઈ નથી.