Saturday, December 24, 2022

Bhavnagar: ગુજરાતમાં આ દરિયાકાંઠા પર તમાકું ખાધું તો ખેર નથી, જાણો શું સજા મળશે!

Dhruvik gondaliya Bhavngar : તમાકુનો કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગ માનવ આરોગ્ય પર નકારાત્મક અસરો કરે છે. તમાકુનો ઉપયોગ ‘રોકી શકાય એવા મૃત્યુઓ’માં વૈશ્વિક ધોરણે સૌથી મોટું કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ લગાવેલા અંદાજ પ્રમાણે તમાકુના ધૂમ્રપાનને લીધે દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં 6 લાખ લોકો એવા છે કે જે પોતે ધૂમ્રપાન નથી કરતા પરંતુ પરોક્ષ રીતે તમાકુનો ધુમાડો તેમના શ્વાસમાં જાય છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ની 2014 ની સમીક્ષા અનુસાર જો આજ રીતે તમાકુનો ઉપયોગ ચાલુ રહેશે તો 21મી સદી માં લગભગ 1 અબજ લોકોને મારી નાખશે, તેમાંથી અડધા 70 વર્ષ થી નાના હશે.તમાકુની આરોગ્ય પરની આડઅસરો વિશે ઘણા સંશોધનો થયેલા છે, જેમાં મોટા ભાગના ધૂમ્રપાન પર થયા છે.

તમાકુમાં નિકોટીન નામનું દ્રવ્ય હોય છે જે વ્યસન (addiction) માટે જવાબદાર છે. આ ઉપરાંત બીજા પચાસ કરતા વધુ કેન્સર જન્ય રસાયણો હોય છે.જયારે તમાકુ પીવા માં આવે છે ત્યારે નિકોટીન લોહી માં ભળી જાય છે જે માનસિક અને શારીરિક અવલંબન નું કારણ બને છે. વિકાસશીલ દેશોમાં વપરાતી સિગારેટ માં ટાર ની માત્રા વધારે હોય છે અને ફિલ્ટર નો ઉપયોગ થતો નથી જે આરોગ્ય માટે વધારે જોખમ કરી શકે છે.

જિલ્લા પંચાયત આરોગ્યશાખા, ભાવનગર દ્વારા તમાકુ મુકત કોળીયાક ( નિષ્કલંક મહાદેવ ) ખાતે મેરેથોન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સાયકલ રેલીનો રૂટ જિલ્લા પંચાયત ભાવનગર થી કોળીયાક ધાવડીમાતાના મંદીર (અંદાજીત ૨૮ કીમી) સુધી રાખવામાં આવેલ હતો. આ સાયકલ મેરેથોનમાં અંદાજીત ૬૦૦ સ્પર્ધકોએ ભાગ લઈને તમાકુ મુકત કોળીયાક બીચ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. આ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે દરિયા કિનારા પર ધાર્મિક સ્થળો પર કે અન્ય કોઈ જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિ જાહેરમાં તમાકુનું સેવન કરતો જણાય આવશે તો તેમની વિરુદ્ધ કલમ ચાર મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને 200 રૂપિયાનો દંડ લગાડવામાં આવશે.

આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા નોનકોમ્યુનીકેબલ ડીસીઝ જેવાકે ડાયાબીટીસ અને બી.પી. વગેરેનું પ્રાથમીક સ્ક્રીનીંગ એચ.સી.જી. હોસ્પીટલના સહયોગથી રાખવામાં આવેલ હતું. કોવીડ -૧૯ વિશે જન જાગૃતિ સાથે સોશિયલ ડીસ્ટસીંગ, માસ્ક, સેનીટાઇઝેશન તેમજ કોવીડ -૧૯ રસીકરણ વિષે પણ સ્પર્ધકો ઉપસ્થિત રહેલ સ્પધકોને સમજ આપવામાં આવી હતી. સમગ્ર મેરેથોનમાં ૧૦ વર્ષથી લઇને ૬૦ વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંદાજીત ૪૪ મહીલાઓએ પણ આ સાયકલ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સાયકલ મેરેથોનમાં પ્રાઇવેટ હોસ્પીટલોના સહયોગથી સ્પર્ધકોને ટીશર્ટ, કેપ, માસ્ક, પાણીની બોટલ તેમજ એક બેગ આપવામાં આવેલ હતું આ સાયકલ મેરેથોનમાં જિલ્લા પંચાયત આરોગ્યશાખાના અધિકારીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા ક્ષય અધિકારીશ્રી, ઇ.એમ.ઓ.શ્રી, ડી.કયુ.એ.એમ.ઓ.શ્રી તેમજ અન્ય આરોગ્યના તમામ કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, Tobacco, ભાવનગર