મુંબઈ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

- આઘાડીએ જ નિર્ભયાનાં 99 વાહન દરેક વિભાગને આપ્યાં
કેન્દ્ર સરકાર પાસેથી મળેલાં નિર્ભયા ભંડોળમાંથી મહાવિકાસ આઘાડી સરકારે 220 વાહન ખરીદી કર્યાં હતાં. તેમાંથી 121 વાહનો પોલીસ સ્ટેશનને આપ્યાં અને 99 વાહન પોતે અન્ય વિભાગોને વહેંચ્યા, એવો આરોપ ભાજપનાં મહિલા આઘાડીના પ્રદેશાધ્યક્ષા ચિત્રા વાઘે કર્યો હતો.નિર્ભયા ટીમનાં વાહનો અન્ય વિભાગોને મહાવિકાસ આઘાડી સરકારે જ આપ્યાં હોવા છતાં વર્તમાન સરકારને નામે ખોટી બૂમાબૂમ કરવામાં આવી રહી છે. હજુ કેટલાં પાપ કરશો અને તે ક્યાં ફેડશો? એવો ટોણો પણ તેમણે માર્યો હતો.
છેલ્લા બે દિવસથી નિર્ભયા ટીમનાં વાહનો મંત્રીઓની સુરક્ષા માટે વાપર્યા એવો આરોપ સરકાર પર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ભૂમિકા સ્પષ્ટ કરતાં ચિત્રા વાઘે જણાવ્યું કતે આઘાડી સરકારના કાર્યકાળમાં 4 ફેબ્રુઆરી, 2022ના રોજ નિર્ભયા ભંડોળમાંથી 220 વાહન ખરીદી કરવામાં આવ્યાં. આમાંથી 121 વાહન મુંબઈનાં કુલ 94 પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યાં, જ્યારે 99 વાહન 19 મે, 2022ના રોજ અન્ય વિભાગોને વહેંચવામાં આવ્યાં હતાં.ચિત્રા વાઘે જણાવ્યું કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે 9 મંત્રીઓને આ નિર્ભયા ભંડોળનાં વાહનો અપાયાં, જ્યારે 12 વાહન વીવીઆઈપી કાફલા માટે આપવામાં આવ્યાં.
તેમાં છગન ભુજબળ, વિજય વડેટ્ટીવાર, સુનિલ કેદાર, સુનીલ તટકરે, સુભાષ દેસાઈ વગેરેનો સમાવેશ થતો હતો. સાંસદ સુપ્રિયા સુળેના કાફલા માટે પણ આ જ વાહન વપરાયાં હતાં. આમ છતાં તેઓ શિંદે- ફડણવીસ સરકાર પર હવે ટીકા કરી રહ્યાં છે. આ બેવડી ભૂમિકા શા માટે? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.
નિર્ભયા ટીમને વાહન પાછાં અપાશે
ચિત્રા વાઘે જણાવ્યું કે ખરેખર તો આ વાહનો ખરીદી કરીને પોલીસ વિભાગે ક્વિક રિસ્પોન્સ ટીમ, શ્વાન પથક, સંરક્ષણ શાખા, સુરક્ષા શાખા, આર્થિક ગુના શાખા, વિશેષ શાખા, એન્ટી કરપ્શન, મોટર પરિવહન વિભાગ વગેરે વિભાગોને આપ્યાં હતાં. ટ્રાફિક વિભાગ વરલીને પણ 17 વાહન અપાયાં. આદિત્ય ઠાકરેના વરલી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું તે તો ઠીક છે, પરંતુ આ વાહનો આદિત્ય ઠાકરેના મતવિસ્તારમાં આપતી વખતે તત્કાલીન ગૃહવિભાગને શરમ પણ નહીં આવી. હવે અમારી સરકાર છે તો બધાં વાહન ફરીથી નિર્ભયા ટીમ માટે પાછા આપવા ઝડપથી કામ ચાલી રહ્યું છે. આગામી અઠવાડિયામાં આ કામ પૂરું થશે, એમ પણ વાઘે જણાવ્યું હતું.