Sunday, December 11, 2022

ભારતની બરોબરીની વાત છોડો, પાકિસ્તાનને તો વિશ્વ પણ ગંભીરતાથી નથી લેતુઃ એસ. જયશંકર

વિદેશ પ્રધાન એસ. જયશંકરે (S Jaishankar) કહ્યું કે વિશ્વ એવા દેશનું સન્માન કરે છે જે તેમના માટે ઊભો રહે, તેમની સાથે રહે. આ 21મી સદીમાં ડેટા, ટેક્નોલોજી અને વિચારોની શક્તિથી જ નવી દુનિયા પર રાજ કરી શકાય છે.

ભારતની બરોબરીની વાત છોડો, પાકિસ્તાનને તો વિશ્વ પણ ગંભીરતાથી નથી લેતુઃ એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકર

છબી ક્રેડિટ સ્ત્રોત: સોશિયલ મીડિયા

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગઈકાલ શનિવારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ હવે વધુ વૈશ્વિક ચિંતાઓ સાથે જોડાઈને બહુપક્ષીય સ્વરૂપ લઈ રહી છે. આપણી વિદેશ નીતિ હવે વધુ ભૌગોલિક-વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના રાષ્ટ્રીય હિતની રક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે ભારતને હાલમાં જ G-20નું પ્રમુખપદ મળ્યું છે અને આવનારા સમયમાં બનારસ ખાતે G-20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, એક સમય હતો જ્યારે વિશ્વભરના દેશ ભારત અને પાકિસ્તાનને એક સમાન રીતે જોતી હતી. પરંતુ આજે આવું કોઈ દેશ કરતું નથી, ખુદ પાકિસ્તાનીઓ પણ ભારત સાથે બરોબરી નથી કરતા.

ભારતે નેતૃત્વનો વૈશ્વિક પરિચય આપ્યો

વારાણસીમાં કાશી હિંદુ યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમમાં સંબોધન કરતા, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે કોરોનાના વૈશ્વિક મહામારી દરમિયાન, ભારતે માત્ર તેની વસ્તીને જ સુરક્ષિત નથી કરી, પરંતુ કોરોનાની વેક્સિન પણ વિશ્વમાં નિકાસ કરી છે. આમ કરીને ભારતે નેતૃત્વનો વૈશ્વિક પરિચય આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું, ‘આપણે હવે વૈશ્વિક વાર્તાલાપને આકાર આપવાનું શરૂ કર્યું છે અને આગામી દિવસોમાં આપણી વિદેશ નીતિમાં વિશ્વભરના વૈશ્વિક પ્રશ્નોને ઉકેલવાની ક્ષમતા પણ હશે.’

ભારતની બરાબરીમાં પાકિસ્તાન ક્યાય નથી

વિદેશ પ્રધાને કહ્યું કે ભારત પ્રાદેશિક રીતે વધુ પ્રભાવશાળી બન્યું છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે દુનિયાભરના દેશ ભારત અને પાકિસ્તાનને સમાન રીતે જોતી હતી. પરંતુ આજે આવું કોઈ કરતું નથી. પાકિસ્તાનીઓ પણ પોતાને ભારત સાથે સરખામણી નથી કરતા. તેમણે કહ્યું કે સાર્ક સક્રિય નથી કારણ કે તેના એક સભ્ય માને છે કે પાડોશી સાથે સંબંધો સીમા પારના આતંકવાદ સમાન છે. કેટલાક એવા દેશો પણ છે જેણે આપણી સમસ્યા પર ક્યારેય સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી પરંતુ તેઓ તેમના દેશની સમસ્યા પર સ્ટેન્ડ લેવા આપણને કહી રહ્યા છે.

વિચારોની શક્તિથી જ દુનિયા પર રાજ કરી શકાય

વૈશ્વિક વ્યવસ્થા પર પશ્ચિમનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હોવાનો દાવો કરતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે આપણે સ્વતંત્ર શક્તિ બની રહેવાની જરૂર છે. વિશ્વ તે દેશનું સન્માન કરે છે જે પોતાના માટે ઊભો રહે છે. જયશંકરે કહ્યું કે આ 21મી સદીમાં ડેટા, ટેક્નોલોજી અને વિચારોની શક્તિથી જ નવી દુનિયા પર રાજ કરી શકાય છે.

જ્ઞાનનું પાવરહાઉસ બનશે ભારત

તેમણે કહ્યું કે ભારતની મહત્વની શક્તિ બનવાની આકાંક્ષા જ્ઞાન આધારીત પાવરહાઉસ બન્યા વિના શક્ય નથી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીન વિશાળ જ્ઞાન નેટવર્ક અને માનવ સંસાધન સાથે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિદેશ પ્રધાને કહ્યું કે કાશી સંસ્કૃતિ, જ્ઞાન અને વિમર્શનું શહેર રહ્યું છે.

અગાઉ, કેન્દ્રીય વિદેશપ્રધાને કાશી તમિલ સંગમમ દ્વારાબનારસ હિન્દુ યુનિવર્સિટીના એમ્ફીથિયેટર ખાતે આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાશી તમિલ સંગમમ અંતર્ગત ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ વચ્ચે મૈત્રીપૂર્ણ બાસ્કેટબોલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.

Related Posts: