આણંદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

આણંદના બેડવા ગામે રહેતો અને પોલીસ વિભાગની એમટી શાખામાં આઉટ સોર્સમાં નોકરી કરતાં 19 વર્ષિય યુવકની લાશ 20મી ડિસેમ્બરના રોજ મળી હતી. આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાની હોવાનું જણાતાં પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં આ હત્યા પાછળ એમટી શાખામાં જ ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સંડોવાયેલો હોવાનું ખુલતાં તેની અટક કરી પુછપરછ કરતાં તેણે એમટી શાખામાંથી હથોડો ચોરી કર્યો હોવાની બાબતે થયેલી બોલાચાલીમાં થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
પોલીસે તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો હતો
આણંદના બેડવાથી મોગર જતા રસ્તા પર આવેલી નહેરમાંથી 19 વર્ષિય યુવકની લાશ 20મી ડિસેમ્બરના રોજ મળી હતી. જેની ઓળખ કરતાં તે આણંદ જિલ્લા પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતો જયદીપ ભરતભાઈ હરિજન હોવાનું ખુલ્યું હતું. તેને અજાણ્યા શખસે માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તપાસ માટે ધમધમાટ શરૂ કર્યો હતો.

સ્થળ પર જ મોત નિપજ્યું હતું
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમારની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા ખંભાળજ પોલીસ તથા એલ.સી.બી ની અલગ અલગ ટીમો બનાવેલ ગુનાની તપાસ દરમ્યાન હ્યુમન રીસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમ સી.સી.ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા આ ગુનો આરોપી હરપાલસિંહ બળવંતસિંહ ચાવડા (રહે. ઉમરેઠ)એ કરેલ હોવાની માહીતી મળી હતી.આથી,હરપાલસિંહની અટક કરી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા હત્યાની આગલી રાતે મરનાર જયદિપ તથા હરપાલસિંહ બેડવા ગામે કેનાલ પર બેઠા હતાં. તે દરમ્યાન જયદિપની બેગમાં એક લોખંડની હથોડી નિકળી હતી. જે હથોડી અંગે હરપાલે પુછતાં તેણે એમટી શાખામાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, હરપાલે આ બાબતે વિરોધ કરી તેને ઠપકો આપ્યો હતો.આ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.જેમાં,હરપાલસિંહએ હથોડી આંચકીને જયદિપના માથામાં મારી દેતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જોકે,ઘટનાથી હતપ્રભ બની ગયેલા હરપાલસિંહે લાશને કેનાલમાં નાખી દીધાનું ખુલ્યું હતું.આથી,હરપાલસિંહને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરવામા આવેલ છે.
હરપાલસિંહ હજુ થોડા સમય પહેલા જ આણંદ પોલીસમાં આવ્યો હતો
એમટી શાખાનો પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ પહેલા સાબરકાંઠામાં નોકરી કરી હતી. જ્યાંથી બદલી કરાવી આણંદ આવ્યો હતો. તેને એમટી શાખામાં ફરજ દરમિયાન જયદીપ સાથે પરિચય થયો હતો. તે ઉમરેઠ રહેતો હતો અને જયદીપ આણંદ-ઉમરેઠ વચ્ચે આવતા બેડવા ગામે રહેતો હતો.આથી,અવાર નવાર બન્ને એક જ બાઇકમાં અવર જવર કરતાં હતાં.હત્યાની ઘટના સમયે પણ બન્ને બાઇક પર બેસી સાથે નિકળ્યાં હતાં.
આણંદ ટાઉનથી બેડવા સુધીના તમામ સીસીટીવી ફુટેજમાં હરપાલ સાથે દેખાતો હતો
આણંદ નાયબ પોલીસ અધિક્ષક જે. એન.પંચાલે જણાવ્યું હતું કે, હત્યાના ગુનાને ઉકેલવા માટે નેત્રમ અંતર્ગતના તમામ કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આણંદ ટાઉનથી લઇ છેક સુધી હરપાલસિંહની બાઇક પર જ જયદીપ દેખાયો હતો. આથી, આ હત્યા પાછળ ક્યાંકને ક્યાંક કોન્સ્ટેબલ હરપાલ જોડાયો હોવાની શંકા જતાં તેની અટક કરી સઘન પુછપરછ કરવામાં આવી હતી.
રસ્તામાં બન્ને શા માટે રોકાયાં હતાં ?
આરોપી પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહે નિવેદનમાં જણાવ્યું હતું કે, હત્યાના સ્થળ પર જયદીપની બેગમાં હથોડો જોયો હતો. જેથી પુછપરછમાં ઝઘડો થતાં હત્યા થઇ હતી. જોકે, આ બન્ને એક સ્થળે શા માટે રોકાયાં હતાં ? જયદીપના બેગમાં હથોડો છે તે હરપાલસિંહને કેવી રીતે ખબર પડી ? આ ઉપરાંત જયદીપે તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે, હું મારા મિત્ર સાથે જમીને આવીશ. તો તે મિત્ર હરપાલસિંહ હોય તો બન્ને ક્યાં જમવા ગયાં હતાં ? તમામ પ્રશ્નો હજુ અનઉત્તર છે.