મોરબી5 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ અને હળવદથી મોરબી શહેરના પ્રવેશદ્વાર સમા મહેન્દ્રનગર ચોકડી પાસે લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ભારે વાહનોની અવરજવરનાં કારણે અકસ્માત પણ થતા હોવાથી આ સ્થળે ઓવરબ્રિજ બનાવવાની માંગણી લાંબા સમયથી સ્થાનિકોમાં હતી. બે માસ પૂર્વે સરકારે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી ત્યારે સ્થાનિકો ઓવરબ્રિજની ડિઝાઇન બદલીને મહાનગરોની જેમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે.
ડીઝાઇન ના બદલે ત્યાં સુધી કામકાજ બંધ રાખો
મોરબી તાલુકા પંચાયતના સદસ્ય ભાવના શેરસીયાએ મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજની ડિઝાઇન બદલવા માંગ કરી છે. ભાજપ અગ્રણી કેતન બોપલીયાએ સમગ્ર રજૂઆતને બ્રિજની તસવીર સાથે સોશિયલ મીડિયામાં રજૂ કરીને MLA અમૃતિયા પાસે ઓવરબ્રિજની ડિઝાઇન પરિવર્તિત કરવાની માંગ કરી છે. જે ઓવરબ્રિજની ડીઝાઇન બદલવા તેમજ ડીઝાઇન ના બદલે ત્યાં સુધી કામકાજ બંધ રાખવામાં આવે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું છે.

જનસુખાકારીમાં પણ વધારો થઈ શકે
મોરબી હળવદ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ચોકડીએ હાલ ઓવરબ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ છે. તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની માંગણી કરી છે. જે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજુર થયું છે તેની ડિઝાઇન ચેન્જ કરીને ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી છે. નોંધનીય છે કે, મોરબી સર્વત્ર વિકસી રહ્યું છે અને મહાનગરોની હરોળમાં આવે તે પ્રકારના વિકાસના પ્રકલ્પો થઈ રહ્યા છે. જો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવે તો જનસુખાકારીમાં પણ વધારો થઈ શકે છે. તેથી સત્વરે બ્રિજના કામને અટક્વવાની માંગ મહેન્દ્રનગરના સ્થાનિકો અને ભાજપ અગ્રણીઓ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.