સાબરકાંઠા (હિંમતનગર)39 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જેતપુર ગામના ખેડૂતને કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત પાસે રહેલો કપાસ માર્કેટયાર્ડની ઓફિસ નજીક આગામી 15મી જાન્યુઆરીના દિવસે સળગાવી દેવાની પરવાનગી કલેક્ટર પાસે લેખિતમાં માંગવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઇડર અને વડાલી તાલુકામાં કપાસનું વાવેતર ઘટતુ જાય છે. કપાસના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ખેડૂતોને આર્થીક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ બીટીકોર્ટન માટે ઇડર-વડાલીના વિસ્તારે ખુબજ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી, પરંતુ ધીમેધીમે કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે. કપાસની આવકમાં ઘટાડાની સાથે સાથે ભાવમાં પણ ઘટાડો થતા ખેડૂતોમાં રોષ સાથે નારાજગી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં પ્રતિ મણ કપાસનો ભાવ રૂપિયા 1950 આસપાસ હતો. જયારે હાલમાં તો એકદમ ઘટાડો થઇને રૂપિયા 1600 થઇ ગયો છે. જેના કારણે ઇડર-વડાલી તાલુકાના ખેડૂતોની સ્થિતિ દયનિય થતી જોવા મળી રહી છે.

વડાલી તાલુકાના જેતપુર ગામના રાજેન્દ્રભાઈ બાદરભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવ્યુ હતુ કે, કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આર્થીક રીતે પાયમાલ થઇ રહ્યા છે. જે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતા પણ કોઇ નોંધ લેવામાં આવતી નથી. ખેડૂતો જયારે માર્કેટયાર્ડમાં કપાસ વેચવા જાય છે ત્યારે નીચા ભાવે હરાજી કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને પોસાતુ પણ નથી. બિયારણ, મજુરી, ખાતર અને દવાનો છંટકાવ કર્યા બાદ પણ કપાસના ભાવ ન મળતા હોવાથી રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારી પાસે 150 મણ કપાસનો જથ્થો છે. જે આગામી 15મી જાન્યુઆરીના રોજ વડાલી માર્કેટની ઓફિસ આગળ સળગાવી દેવાની પરવાનગી જિલ્લા કલેક્ટર આપે તેવી માંગણી કરી છે.



