ગાંધીનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક

તાજેતરમાં કલોલના પાનસર ચાર વિસ્તારમાં ઓરીના 15 બાળ દર્દીઓ મળી આવ્યા પછી હવે ગાંધીનગરના જમિયતપુરામાંથી પણ પાંચ બાળ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જેનાં પગલે આરોગ્ય તંત્ર ધ્વારા સર્વેલન્સની કામગીરી આરંભી દઈ અત્રેના વિસ્તારને રોગચાળાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ઓરીના રોગચાળાએ પગ પેસારો કરતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
કલોલના પાનસર ચાર રસ્તા વિસ્તારમાં ઓરીના બાળદર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવતા મહતઅંશે રોગચાળા ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે જે બાળ દર્દીઓમાં ઓરીના લક્ષણો જોવા મળ્યા હતા તે તમામ બાળકો સ્વસ્થ હોવાનું આરોગ્ય તંત્રનું કહેવું છે. ત્યારે હવે ગાંધીનગરના જમિયતપુરામાં પણ આ રોગચાળાએ પગ પેસારો કર્યો છે. જેનાં પગલે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અસરગ્રસ્ત વિસ્તારના 511 ઘરોની 2 હજાર 668 વસ્તીને આવરી લઈ ચાર ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
અગાઉ શંકાસ્પદ મળી આવેલા બાળદર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જે પોઝિટિવ આવતા અહીં સઘન સર્વેલન્સની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, અહીં પાંચ જેટલા બાળકોને ઓરીના લક્ષણો છે. જેમને ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. કોઇ પણ દર્દીને દાખલ કરવાની નોબત આવી નથી.
જાહેર કરાયેલા આ રોગચાળાના અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે પણ અહીં ચાર ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં નવ માસથી પંચ વર્ષના બાળકોની સંખ્યા 123 જેટલી છે. જેમને વિટીમીન-એની દવા તથા ઓરી વિરોધી રસી આપવા માટેની કામગીરી તથા કાઉન્સલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.