રાનવેરીખુર્દ ગામના મહાદેવ ફળિયા સ્થિત આંગણવાડીનું મકાન બાંધકામ દોઢેક વર્ષ પૂર્વે શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી પરંતુ દોઢ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજે પણ બાંધકામ અધૂરી હાલતમાં છે મહાદેવ ફળિયાની આંગણવાડીમાં હાલે 19 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે. અને આંગણવાડીના અધૂરા કામને પગલે પ્રાથમિક શાળાના ઓટલા પર કારકીદી ઘડતરની પા પા પગલી ભરી રહ્યા છે વરસાદમાં તો ભૂલકાઓની સ્થિતિ કફોડી બની જાય છે.
અધુરી આંગણવાડીનું કામ પૂરું કરવા માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીનું બાંધકામ શરૂ થયું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલ સામાન બાંધકામમાં વાપરવામાં આવતા સ્થાનિકો દ્વારા એક સમયે કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને ગુણવત્તા પર માલસામાન વાપરવાની સૂચના આપતા એજન્સી કામ અધૂરું છોડીને જતી રહી હતી અને આજની તારીખે કામ પૂર્ણ ન થતા ભૂલકાઓ આજે પણ આંગણવાડીથી વંચિત છે. આ અંગે સ્થાનીકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ શરૂ કરાયું નથી ત્યારે સંબંધિત અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આંગણવાડી નું બાંધકામ ઝડપ થી પૂર્ણ કરાવે તે જરૂરી છે.
એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે કરોડો રૂપિયા ખર્ચી પ્રવેશ મહોત્સવની ઉજવણી કરતી હોય છે પરંતુ ચીખલી તાલુકાના અંતરિયાળ ગામોમાં આવેલી આંગણવાડીઓની આ પરિસ્થિતિ જોઈ એ વિચાર આવે છે કે આવી રીતે પણ છે ગુજરાત ?
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર