Wednesday, December 21, 2022

Navsari: 21મી સદીમાં પણ અહીં એક મકાનના અભાવે બાળકો ખુલ્લા આકાશમાં ભણવા મજબૂર!

Sagar Solanki, Navsari:  આજનું બાળક એ આવતીકાલના આપણા દેશનું ભવિષ્ય છે અને ઉજ્જવલ ભવિષ્ય માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભણતર પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે અને સારું શિક્ષણ મળે એવા પ્રયાસો કરી રહી છે. પરંતુ ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે. આંગણવાડીની આવી બત્તર હાલત કેટલી યોગ્ય તેનો જવાબ પ્રજા માંગી રહી છે.

રાનવેરીખુર્દ ગામના મહાદેવ ફળિયા સ્થિત આંગણવાડીનું મકાન બાંધકામ દોઢેક વર્ષ પૂર્વે શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી પરંતુ દોઢ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજે પણ બાંધકામ અધૂરી હાલતમાં છે મહાદેવ ફળિયાની આંગણવાડીમાં હાલે 19 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે. અને આંગણવાડીના અધૂરા કામને પગલે પ્રાથમિક શાળાના ઓટલા પર કારકીદી ઘડતરની પા પા પગલી ભરી રહ્યા છે વરસાદમાં તો ભૂલકાઓની સ્થિતિ કફોડી બની જાય છે.

અધુરી આંગણવાડીનું કામ પૂરું કરવા માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીનું બાંધકામ શરૂ થયું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલ સામાન બાંધકામમાં વાપરવામાં આવતા સ્થાનિકો દ્વારા એક સમયે કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને ગુણવત્તા પર માલસામાન વાપરવાની સૂચના આપતા એજન્સી કામ અધૂરું છોડીને જતી રહી હતી અને આજની તારીખે કામ પૂર્ણ ન થતા ભૂલકાઓ આજે પણ આંગણવાડીથી વંચિત છે. આ અંગે સ્થાનીકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ શરૂ કરાયું નથી ત્યારે સંબંધિત અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આંગણવાડી નું બાંધકામ ઝડપ થી પૂર્ણ કરાવે તે જરૂરી છે.

એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે કરોડો રૂપિયા ખર્ચી પ્રવેશ મહોત્સવની ઉજવણી કરતી હોય છે પરંતુ ચીખલી તાલુકાના અંતરિયાળ ગામોમાં આવેલી આંગણવાડીઓની આ પરિસ્થિતિ જોઈ એ વિચાર આવે છે કે આવી રીતે પણ છે ગુજરાત ?

First published:

Tags: Local 18, નવસારી

Related Posts: