રાજકોટ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
મહાનગરપાલિકાની આવાસ યોજનાએ ફરી એકવખત દેશભરમાં ડંકો વગાડ્યો છે. જેમાં જુદી જુદી બે બિલ્ડીંગોને IGBCએ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કર્યા છે. તાજેતરમાં યોજાયેલ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ દ્વારા હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ 2 આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ(IGBC) દ્વારા IGBC મોમેન્ટો આપવામાં આવ્યા છે.
આ આવાસ યોજનાઓને મળ્યા મોમેન્ટો
1) શિવ ટાઉનશીપ સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. 27, એફ.પી. 41A 864 LIG (2 BHK)
2) મીરાબાઈ ટાઉનશીપ સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી થી પાળ ગામ રોડ, રાજકોટ, ટી.પી. 27, એફ.પી 48A 272 MIG (3 BHK)

ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ
32,345 આવાસોની કામગીરી પૂર્ણ
મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 32,345 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની સાથે 7 આંગણવાડીઓ તેમજ 560 દુકાનોનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે. છેલ્લા 5 વર્ષ દરમિયાન દુકાનોના વેચાણથી મહાનગરપાલિકાને આશરે રૂ. 40 કરોડની આવક પણ થઈ ચૂકી છે.
ગૌમાતા પોષણ યોજના માટે કમિટી રચાઈ
ગુજરાતના ગૌવંશની ચિંતા કરતા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રૂપિયા 490 કરોડની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ તેમજ રૂ. 50 કરોડની ‘ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના’ જાહેર કરેલી છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં આ બંને યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. આ બંને યોજનામાં સહાય મંજૂર કરવા માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બેઠક યોજી હતી
3 હજાર પશુદીઠ સહાય મળવાપાત્ર થશે
રાજકોટ જિલ્લામાં આ બંને યોજનાના સુચારુ અમલ માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ નાયબ પશુપાલન નિયામક ડૉ. એ.એમ. ડઢાણિયા સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા તેમજ પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે, સંસ્થાને આર્થિક સહાય આપવાના હેતુથી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરૂ કરાઈ છે. જે અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓને પશુદીઠ રોજના રૂપિયા 30ની સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 3 હજાર પશુદીઠ આવી સહાય મળવાપાત્ર થશે. ગાય-ભેંસ સિવાયના અન્ય વર્ગના પશુ માટે આ સહાય મળવાપાત્ર નથી.
પશુઓના નિભાવ માટેની સહાય યોજના જાહેર
ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ગૌવંશના નિભાવ માટે ‘ગૌવંશ બિનવારસી પશુઓના નિભાવ માટેની સહાય યોજના’ જાહેર કરાઈ છે. જે અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બિનવારસી હાલતમાં રહેલા ગૌવંશને નોંધાયેલી ગૌશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવશે, જેના નિભાવ માટે પશુદીઠ રૂપિયા 30ની સહાય સંસ્થાઓને આપવામાં આવશે. આ બંને યોજનામાં સંસ્થાએ પશુઓનું રજિસ્ટ્રેશન INAPH પોર્ટલ પર કરવાનું રહેશે. આ યોજના અંગે વધુ માહિતી માટે તાલુકા કે જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકાશે.

છાત્રાઓને શી ટીમ વિશે માહિતગાર કરવામાં આવી
શી ટીમ દ્વારા 1500 છાત્રાઓને સ્વરક્ષણ અર્થે કરાટેની તાલીમ અપાઇ
રાજકોટ શહેરમાં મહિલાઓની છેડતી અને ઘરેલુ હિંસાના બનાવ ન બને તેમજ સિનીયર સિટીઝનને લગતાં કોઇ પ્રશ્નો હોય તો તેનું તત્કાલ નિરાકરણ લાવવું તેવી સુચના આધારે શહેર પોલીસની પુર્વ વિભાગની શી ટીમ દ્વારા કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયની મુલાકાત લઇ 1500 છાત્રાઓને શી ટીમ વિશે માહિતગાર કરવામાં આવી હતી. તેમજ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવી સોીશયલ મિડીયા સાઇટ પર અજાણ્યા શખ્સોને ફ્રેન્ડસ નહિ બનાવવા અને મોબાઇલ ફોનમાં આવતી અજાણી લિંક ઓપન નહિ કરવા તેમજ કોઇપણ વ્યક્તિ ઓટીપી માંગે તો આપવો નહિ અને જો કોઇ અસામાજીક તત્વો હેરાન કરે તો શી ટીમનો સંપર્ક કરવા સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેર પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલિમ શીબીર અંતર્ગત સરસ્વતિ શીશુ મંદિર વિદ્યાલયની 200 છાત્રાઓને સ્વરક્ષણ અર્થે કરાટેની તાલીમ અપાઇ હતી. તાલીમ પૂર્ણ થતાં છાત્રાઓ દ્વારા કરાટેનો ડેમો યોજાયો હતો.

છાત્રાઓ દ્વારા કરાટેનો ડેમો યોજાયો