- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- The Leaders Of Sakal Jain Sangh Protested Against The Issue Of Palitana By Rallying All Over Kutch With Self discipline.
ભુજ27 મિનિટ પહેલા
- કૉપી લિંક

- 26 નવેમ્બરની રાત્રે રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવાના વિરોધમાં જૈનોમાં આક્રોશ
શત્રુંજય ગિરિરાજ સમસ્ત જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે તેમજ સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર છે. આ ગિરિરાજને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી સમસ્યા જૈનો તથા સ્થાનિક આસ્થાળુ વર્ગને થતી રહે છે તેવી રજૂઆત સાથે શુક્રવારે સવારે સમગ્ર કચ્છના સાત સંઘના મોટી સંખ્યામાં અગ્રણીઓએ સરકાર દ્વારા ગંભીરતાથી નિરાકરણ લાવે તેવું આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર વિશ્વના જૈનોની શ્રદ્ધા અને આસ્થાની રાજધાની સમા શ્વાશવતા તીર્થ શેત્રુંજય ગિરિરાજની રક્ષા અને પવિત્રતાની અખંડિતતા માટે ગુજરાત રાજ્યની સરકારને વર્તમાન સમયમાં ઊભી થયેલી માનવ સર્જિત તથા જૈન ધર્મના લોકોને થતા અન્યાય તરફ તાત્કાલિક નિર્ણય લેવા ભુજમાં અંદાજે આઠ થી દસ હજાર જૈન ભાઈઓ, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. શુક્રવારે સવારે 9 વાગ્યે જૈન ગુર્જર વાડી ખાતે વિરાટ ધર્મસભા યોજાઈ હતી.
ત્યારબાદ 9:30 વાગ્યે વિશાલ તીર્થરક્ષા રેલી નીકળી હતી, જે જૈન વંડાથી, અનમ રિંગ રોડ, રાજન શોરૂમ, ડોસા ભાઈ ધર્મશાળા, જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને કલેકટર ઑફિસ પહોંચી હતી. સમસ્ત જૈન સંઘ, દરેક જૈન સમાજ, દરેક જૈન મંડળો તેમજ જૈન યુવક મંડળોના હોદ્દેદારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાત સંઘ દ્વારા અપીલના પગલે જૈન વેપારીઓએ તેમના ધંધા અડધો દિવસ બંધ રાખ્યા હતા. જૈન સમાજની રજૂઆત મુજબ શત્રુંજય ગિરિરાજ જૈનોનું સૌથી પવિત્ર તીર્થ સ્થાન હોઈ ગિરિરાજ ઉપર તળેટીથી શિખર સુધી ગિરિરાજ કે ગિરિરાજની પવિત્રતાને જોખમ થાય તેમજ જૈનોનું મન દુ:ખાય તેવી જૈન ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ વિરૂદ્ધની કોઈપણ પ્રવૃત્તિ કોઈના પણ વધુ થઈ ના શકે.
શત્રુંજય ગિરિરાજ ઉપર આવેલા ગઢ અને અન્ય ધર્મ સ્થાનો આ ઉપરોક્ત ચુકાદા મુજબ જૈનોની સંપુર્ણ માલીકીના નિયત થયેલા છે. ગિરિરાજ ઉપરના તમામ જૈન – અજૈન મંદિરો ઉપર નિયંત્રણ અને વહીવટ જૈનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે છે. એ પણ સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે ગઢની અંદર આવેલ મહાદેવની દેરીમાં જૈનોના ધાર્મિક સિદ્ધાંત વિરુદ્ધ કશું જ થઇ શકશે નહીં. હાલમાં જ 26 નવેમ્બરની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા રોહિશાળામાં પ્રાચીન ૩ ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવ્યા અને આજે 20 દિવસ ઉપરાંત થઈ ગયા છે, તેમ છતાં પણ કોઈપણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ તપાસ એજન્સીને આની તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
મુન્દ્રા-મધ્યે વહેલી સવારે તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાશ્વનાથજી જીનાલય મધ્યેથી જૈન પાંચ ગચ્છના લોકો રેલી સ્વરૂપે સ્થાનિક મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જૈન સમાજના પ્રમુખ ભુપેન્દ્ર હરસુખલાલ મહેતાએ બનાવ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવા પર મૂકી ધર્મસ્થાનો પર અવાર નવાર બનતા બનાવો અટકવાની લાગણી દર્શાવી હતી. નવીનભાઈ મહેતા,દર્શન સંઘવી,દીપક શાહ,કરણ મહેતા,હિરેન સાવલા,પરીન ગાલા સમેત અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા.
માંડવી જૈન સમાજના આગેવાનો દ્વારા વિરોધ રેલી અને મામલતદારને આવેદપત્ર આપી સમાજનું પવિત્ર અને અખંડ શેત્રુંજય તીર્થમાં અમુક અસામાજિક તત્વો દ્વારા વિવાદ ઉભો કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢયો છે. સેવાકીય પ્રવૃત્તિ કરતા અજરામર ટ્રસ્ટ દ્વારા પણ પવિત્ર યાત્રાધામ ગીરીરાજ પરની અસામાજિક પ્રવૃતિને વખોડી કાઢવામાં આવે છે અને દેશના હિંદુ તિર્થોની સાથે જૈન તિર્થોની સુરક્ષા માટે પણ સરકાર પ્રતિબદ્ધ બને તેવી માંગ કરી છે.