મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
રાજ્યમાં હાલ જૈન ધર્મ દ્વારા ભાવનગરના પાલીતાણા શહેરના જૈનોના પવિત્ર તીર્થ શેત્રુંજય પર્વત પર થોડા સમય પહેલા રોહીશાળા અને સુરજકુંડ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરીને યાત્રિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ત્યારે પાલીતાણાની આ ઘટનાને લુણાવાડા જૈન સંઘ દ્વારા વખોડવામાં આવી છે. આ ઘટનામાં જે કોઈ સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવી હતી.

જૈન ધર્મના અતિ પવિત્ર તીર્થ પાલીતાણામાં થોડા સમય પહેલા રોહીશાળા અને સુરજકુંડ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરીને યાત્રિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ભારે વિરોધ શરૂ થયો છે. ત્યારે લુણાવાડા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા મેવાડ જૈનસંઘ દ્વારા આજે વિરોધ સ્વરુપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તીર્થ સ્થાનની રક્ષા માટે સુત્રોચાર કર્યા હતા. આ રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. રેલીમાં સમગ્ર લુણાવાડા જૈનસંઘના ભાઇ-બહેનો જોડાયા હતા અને ત્યાર બાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને તેમની લાગણી તથા માંગણી ઉચ્ચકક્ષાએ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

આ અંગે જૈનસંઘના વડા રજનીકાંત ગાંધી અને સુરેશભાઇ શાહે એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, અમે કોઇપણ ભોગે અમારા તીર્થસ્થાન શેત્રુંજયની રક્ષા કરીશું. જેના માટે અમારે પ્રાણ પણ કેમ ના આપવા પડે તેમ જણાવ્યું હતું. જૈનસંઘના અગ્રણીઓ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ ભોગે શેત્રુજંય તીર્થની રક્ષા કરવામાં આવે તેવી સમગ્ર જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.











