- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- The People Of South Gujarat Enjoy The Taste Of Natural Healthy Drink In The Bitter Cold Of Winter, It Is Very Useful To Keep The Body Clean.
નવસારી22 મિનિટ પહેલા
- કૉપી લિંક

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે આ શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે નીરો એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું હોવાનું માનવામાં આવે છે. ખજૂરી અને તાડના વૃક્ષમાંથી ટપકતું પ્રવાહી એટલે નીરો. જે પીવાથી અનેક ફાયદાઓ થાય છે. ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો નીરો ખુબ પીવે છે. સુર્યોદય પહેલા જ નીરો પીવો જોઈએ જેને લઈ નવસારી શહેરમાં ઠંડીનો ચમકારા વચ્ચે લોકો વહેલી સવારે જ નીરો પીવા માટે ઉમટી રહ્યા છે.

નીરાની શોધમાં વડોદરાથી પણ લોકો આવે છે
નવસારી શહેરમાં ઠંડીનો મારો વધતા લોકો નીરો પીવા આવી રહ્યા છે. શહેરમાં આવેલા 4 જેટલા નીરા વેચાણ કેન્દ્ર પર લોકોની ભીડ જામી રહી છે. 60 રૂપિયા લિટર વેચાતો નીરો હાલ ઠંડી સામે રક્ષણ આપતું સૌથી ફેવરિટ પીણું બન્યું છે. જેની શોધમાં લોકો વડોદરાથી પણ નવસારી આવે છે. હાલમાં વાતાવરણ સારું છે એટલે નીરાનો ટેસ્ટ પણ મીઠો છે જો વાતવરણ બદલાશે તો તેની સાથે ટેસ્ટમાં પણ અસર જોવા મળશે. નીરોમાં રહેલું વિટામીન સી રક્તવાહીનીઓને સ્વસ્થ બનાવે છે. તેમજ પાચન શક્તિ પણ વધારે છે. તેમજ નીરોના સેવનથી કબજીયાત દૂર થાય છે. પેટ તેમજ મૂત્રાશયના રોગોમાં ફાયદો થાય છે.

સૂર્યોદય પહેલા તાજેતાજું પીવુ જોઈએ
નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું દ્રવ-પ્રવાહી. નીરો પણ ખજૂરી કે નર-તાડવૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીનમાંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમ કે, નારીયેળી કે જેમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે, એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે, આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડ- Borassus Flabelliferનું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે.

ધરતીનું અમૃત નીરો
નીરો એ કુદરતી આરોગ્યપ્રદ પીણું છે. નીરામાં રહેલા કેલ્શિયમ ફોસ્ફરસ, નાઈટ્રોજન, પ્રોટીન વીટામીન સી રક્તવાહીનીઓને સ્વસ્થ બનાવે છે અને હ્યદયની કાર્યશક્તિ વધારે છે. અનિંદ્રા, અતિઆહાર. પાચનતંત્રનીમંદતા, વગેરેથી પીડાતા દર્દીને માટે નિરો ગુણકારી છે.
નીરો એ મૂત્રલ, શિતલ અને મધુર-અમ્લ છે. ખજૂરના ફળને આયુર્વેદમાં શ્રમહર કહ્યાં છે આથી નીરો પણ તુરંત શક્તિપ્રદ તો ખરો. નીરો ખજૂરીનો હોય કે તાડનો હોય પણ સૂર્યની ગરમીથી એમાં આથો આવવા-ફર્મન્ટેશન થવા લાગે છે. આથી એ આલ્કોહોલીક બને છે અને જયારે આવું માદક અને ખાટું થયેલો વાસી નીરો પીવાય ત્યારે એ દાહ કરે છે. પિત્તપ્રકોપક બને છે. ખજુરી કરતાં તાડમાંથી મેળવેલો નીરો ઝડપી ગરમીથી અથાઇ જાય છે અને વધુ આલ્કોહોલીક થાય છે જેને તાડી કહે છે. આ પરથી અંગ્રેજીમાં પણ નીરોને Toddy કહેવાય છે.

નીરો પીવાના અનેક ફાયદાઓ
તાજા નીરાના ઘટકોનું આધુનિક વિજ્ઞાન દ્વારા વિશ્લેષણમાં સુક્રોઝ આશરે 12% જેટલું, થોડા પ્રમાણમાં લોહતત્વ, રીબૉફલેવીન નામનું વિટામીન અને વિટામીન સી જોવા મળેલ છે. ડાયાબીટીક દર્દીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે કેમ કે, એમાં રહેલા સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલું હોય છે. આથી બ્લડસુગર વધતું નથી એવું આધુનીકોનું માનવું છે. મૂત્રમાર્ગના રોગોમાં જે દર્દીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય એમના માટે નીરો વધુ મૂત્રઉત્પાદક બને છે.

સગર્ભાવસ્થાના કોઇપણ ટ્રાઈમેસ્ટરમાં મૂત્રલદ્રવ્યોનો અતિરેક ઇચ્છનીય નથી કેમકે, તેનાથી ગર્ભજલ-amniotic fluid ઘટી શકે છે. છેલ્લા ટ્રાઈમેસ્ટરમાં ગર્ભિણીને એસીડીટીના પ્રોમ્બ્લેમસ રહે પણ એના માટે નીરો સિવાયના અન્ય ઘણાં વિકલ્પ છે. આ તાડપ્રજાતીના ઝાડ ઘટ્યાં છે, જોકે પીનારા વધ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે, ગુજરાતમાં કુમારપાળ રાજા એ તાડનો તથા ગાંધીજીએ ખજુરીનો એમાંથી બનતાં કૈફી પીણાંના કારણે નાશ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દેશની ઝડપથી અંજાઇ જવાવાળી ભાવુક પ્રજા એને આદેશ સમજીને નિકંદન કાઢેલ છે.
ભેળસેળયુક્ત નીરો પીવાથી થાય છે નુકસાન
શુદ્ધ નીરો હોય તો સૂર્ય ઉગે તે પહેલાં તેનો ઉપયોગ કરી લેવો જરૂરી છે. નહીં તો તેમાં આથો ચઢે અને તાડી બનવા માંડે છે. આ પરિસ્થિતિને કાબુમાં લેવાં વેચનારાઓ તેમાં ચૂનાની ફાંક, સેકરીન, ગોળને ઉમેરીને વેચવા માંડ્યા છે. આવી વસ્તુઓ ઉમેરીને નીરાના સ્વાદ જેવું જ પીણું બનાવીને પણ વેચે છે. આવા શંકાસ્પદ નીરાને પીવાથી પેટ અને લિવરના રોગો થવાની શક્યતા વધી જાય છે. પાચનક્રિયા બગડે અને લોહીમાં ગઠ્ઠા જામી જવા જેવી ફરિયાદો પણ ઉદ્દભવી શકે છે.

એક તાડના વૃક્ષમાંથી આશરે 25 થી 30 લીટર તાડી એક દિવસમાં મળે છે પણ તાડનું વૃક્ષ 25 વર્ષ જુનું હોય ત્યારે જ તાડી પ્રાપ્ત થાય છે. બિહાર જેવાં પૂર્વોત્તર રાજયોમાં તાડીને વધુ આલ્કોહોલીક બનાવવા યુરિયા નંખાય છે. તાડીમાં ખજુરી કરતાં ફરમેન્ટેશન વધુ ઝડપથી થાય છે એટલે એ રોકવા હાંડીમાં પહેલાંથી ચુનો નાંખી દેવાય છે અને હવે એ જ ઉદેશ્ય માટે ફોર્મેલીન નંખાય છે. જેથી 40થી45 કલાક ફર્મેનટેશનની પ્રક્રિયા સ્થગીત કે ધીમી કરીશકાય છે.
ગાંધીજી દ્વારા લિખીત આરોગ્યની ચાવી પુસ્તકમાંથી નીરો-તાડી વિશે એમનાં વિચારો અને ચિંતન
તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડીએ ખોરાક છે અને સાથે-સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યું છે પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે, તે ઉપરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી.
જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધરૂપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ પીવા કે ખાવાની જરૂર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેદા થાય છે.

ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઊગે છે. તે બધામાંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઈ જોખમ ન વહોરવું પડે. તેમાં માદક્તા જલદી પેદા થઈ જાય છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઈ શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીનાં ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામ ઉદ્યોગ સંધની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હિંદુસ્તાનમાં ગોળખાંડની તૂટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તેભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જે તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.