જૂનાગઢ8 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બેન્કના અધિકારીઓની બિન ઉત્પાદક ધિરાણ માટે જવાબદારી નક્કી કરવા અને બેંકમાં મુકાતી થાપણના વ્યાજદરમાં વધારો કરવા માંગ
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાયેલા બે દિવસીય બેન્ક ફેડરેશનના 16માં અધિવેશનમાં કેટલીક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને બેન્કના ડૂબમાં ગયેલા નાણાંની વસુલાત માટે સામાન્ય ગ્રાહકો ઉપર નાખવામાં આવતો છૂપો ચાર્જ લેવાનું બંધ કરવા અને બિનઉત્પાદક ધિરાણ માટે બેન્કના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેની સામે કાર્યવાહી કરવાની માંગણી પણ થઇ છે. એટલું જ નહીં જાહેર ક્ષેત્રની બેન્કોને આર્થિક સદ્ધર બનાવી તેનો વ્યાપ વધારવા, બેંકોના ખાનગીકરણને અટકાવવા તેમજ ઉદ્યોગગૃહના શંકમંદ અને ભરપાઈ ન થયેલા નાણાં માંડવાળ નહીં કરવાની બાબતે પણ સરકાર ઉપર દબાણ કરવાનું નક્કી કરાયું હતું.
ગુજરાત બેન્ક ફેડરેશનના 16માં અધિવેશનમાં કર્મચારી યુનિયન પહેલી વખત લોકહિતની ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. જાણી જોઈને બેન્કના લેણાની ભરપાઈ ન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરી આવું કૃત્ય ગુન્હાહિત હોવાની કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી એક સર્વસંમતિ બની હતી. સૌથી મહત્વની એ વાત કરવામાં આવી હતી કે, દર 6 મહિને બેન્કના મોટા બાકીદારોની નામાવલી પ્રસિદ્ધ કરવામાં આવે જેથી આવા લોકોની ઓળખ લોકોને પણ થાય.
હાલની સ્થિતિમાં બેકના નાણાં જયારે ડૂબી જાય કે પરત ન આવે ત્યારે એ ખોટને સામાન્ય ગ્રાહક પાસેથી છુપા કર દ્વારા વસુલવામાં આવે છે, જે જનતાના હિતમાં નથી અને આવી પરિસ્થિતિ બદલવી પડશે. જેના માટે બેન્કના જવાબદારો એવા ઉચ્ચ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. એ ઉપરાંત બેન્કની કાયમી પ્રકારની સેવાઓ ખાનગી કોન્ટ્રાક્ટરને આપવી જોઈએ નહીં અને થાપણના દરમાં વધારો કરવો જોઈએ જેથી સામાન્ય ગ્રાહક બેંકમાં પોતાની મૂડી ડિપોઝીટ તરીકે મુકવા તૈયાર થાય.
આ અધિવેશનમાં ઉપસ્થિત 800 જેટલા ડેલિગેટ્સ એ સરકારની ખાનગીકરણની નીતિ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ બેન્કના કર્મચારીઓએ કદાચ પ્રથમ વખત જ સામાન્ય ગ્રાહકની ચિંતા પણ કરી છે. એવા સંજોગોમાં આવનારા સમયમાં ખાનગીકરણ નીતિ સામે જયારે બેન્ક ફેડરેશન સરકાર સામે બાયો ચડાવશે ત્યારે બેન્કના સામાન્ય ગ્રાહકને પણ સરકાર સામે મેદાનમાં ઉતારવાનો વ્યૂહ ઘડવામાં આવ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટ્રિ લાગી રહ્યું છે
જનતાનો સહયોગ લઇ આંદોલન
બેન્કના કર્મચારીઓ જો સામાન્ય ગ્રાહકની ચિંતા કરીને તેનો સાથ મેળવશે તો હવે પછી ખાનગી ઉદ્યોગગૃહની જે વસુલાત માંડવાળ કરવામાં આવી રહી છે તેની સામે જનતાનો સહયોગ લઈને જુદી દિશાનું આંદોલન થશે જે સરકાર માટે ચિંતાનું કારણ બની શકે છે.