Surendranagar: વઢવાણમાં વિજયનગરનું નાળુ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી સ્થિતિમાં છે. ગામલોકોએ વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા આ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. તૂટેલા નાળાને કારણે લોકો અકસ્માતનો અવારનવાર ભોગ બની રહ્યા હોવાની ગામલોકોની ફરિયાદ છે
સુરેન્દ્રનગરના વઢવાણના વિજયનગર વિસ્તારમાં નગરપાલિકાએ બનાવેલું નાળું સ્થાનિકો માટે માથાના દુઃખાવો બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી જર્જરીત નાળાનું સમારકામ ન થતાં સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં પાંચ હજાર લોકો વસવાટ કરે છે. જેથી પાલિકાએ અવરજવર માટે નાળુ બનાવ્યું હતું. પણ કામગીરીમાં ભ્રષ્ટાચારને કારણે તૂટી ગયું છે. નાળુ અડધી હાલતમાં તૂટેલું હોવાથી વારંવાર અકસ્માત થઇ રહ્યાં છે. જેને લઇ સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ લવાયો નથી. સાથે જ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટુંક સમયમાં નાળાનું સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન કરાશે.
અનેકવાર રજૂઆત કરી છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાતી-સ્થાનિક
ગામના સ્થાનિક જોરૂભા જણાવે છે કે નાળુ ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. વારંવાર તંત્રને રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. તેમના જણાવ્યા મુજબ ગઈકાલે જ (8.12.22) એક ગાડી અહીં પલટી ખાઈ ગઈ હતી. તેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત 6 મહિના પહેલા એક યુવક સ્કૂટર લઈને આવતો હતો ત્યારે નાળામાં પડ્યો હતો અને માથુ ફુટી ગયુ હતુ. અવારનવાર આ રીતે તૂટેલા નાળાને કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે. અનેકવાર રજૂઆત કરવા છતા નીંભર તંત્ર ધ્યાન દેતુ નથી.
મયુર ચાવડા નામના સ્થાનિક જણાવે છે કે કોઈપણ અનેકવાર અરજીઓ આપવા છતા વઢવાણ નગરપાલિકાના સત્તાધિશો કંઈ સાંભળવા તૈયાર નથી. રજૂઆતો કરીને થાકેલા ગામલોકોએ હવે આવનારા સમયમાં આંદોલન કરશે.