આણંદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
ઉમરેઠના બાજીપુરા ગામે બે વર્ષ પહેલા જમીનમાં બાંધેલા છાપરાને હટાવી લેવા મુદ્દે મારામારી થઈ હતી. જેમાં બે શખસે ધારીયાથી હુમલો કરી એકને હત્યા કરી હતી. આ કેસમાં ન્યાયધિશે બન્ને શખસને દોષિત જાહેર કરી એકને આજીવન કેદ અને બીજાને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.
ઉમરેઠના બાજીપુરા ગામમાં રહેતા પ્રવિણસિંહ છત્રસિંહ રાઠોડ ખેતી કામ કરે છે. દરમિયાનમાં 2જી ઓક્ટોબર,2020ના રોજ પ્રવિણસિંહ તથા તેમના પિતા છત્રસિંહ કાળુભાઈ રાઠોડ બાજીપુરા – સુરેલી સીમમાં આવેલા ખેતરમાં હતાં. આ સમયે પ્રવિણસિંહના કાકા પ્રભાતસિંહ કાળુભાઈ રાઠોડ ઘરે હોવાથી છત્રસિંહે તેની સાથે જમીનના લાગભાગ બાબતે વાતચીત કરતાં હતાં. આ વખતે ભત્રીજો હસમુખ શંકરભાઈ રાઠોડ અને તેનો સાળો કનુભાઈ પ્રતાપભાઈ પરમાર અને અન્ય બે માણસો ધસી આવ્યાં હતાં. જેમાં હસમુખ અને કનુના હાથમાં ધારિયાં હતાં. તેઓએ પ્રવિણસિંહ અને તેમના પિતા છત્રસિંહ સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. અમારા ખેતરમાંથી તમારા છાપરા (ઘર) હટાવી લો. તેમ કહી ઉશ્કેરાઇ ગયાં હતાં. દરમિયાનમાં હસમુખે ધારીયાનો પાછળનો ભાગ પ્રવિણસિંહને મારી દીધો હતો. આ ઝપાઝપીમાં છત્રસિંહ વચ્ચે પડતાં કનુએ પોતાનું ધારિયું તેમને માથામાં મારી દેતાં જીવલેણ ઇજા પહોંચી હતી. જોકે, પિતા – પુત્રની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક છત્રસિંહને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં સ્થિતિ વધુ ગંભીર ગણાતાં વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે હસમુખ શંકર રાઠોડ (રહે. સુરેલી) તેનો સાળો કનુ પ્રતાપ પરમાર (રહે.જોરાપુરા, તા. ઠાસરા) સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, છત્રસિંહનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી અને હસમુખ, કનુ ઉપરાંત અન્ય બે શખસની અટક કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.
આ કેસ આણંદ સેશન કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલે ધારદાર દલીલો સાથે 16 સાક્ષીઓ અને 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા ન્યાયધિશે આઈપીસી 302 એટલે કે હત્યામાં કનુભાઈ પ્રતાપભાઈ પરમારને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે હસમુખભાઈ શંકરભાઈ રાઠોડને આઈપીસી 506 (2 )ના ગુનામાં કસુરવાર ઠેરવીને સાત વર્ષની કેદની સજા તથા રૂપિયા ૩ હજારનો દંડ ફટકાર્યો છે.