મહિસાગર (લુણાવાડા)25 મિનિટ પહેલા
મહીસાગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું 5 તારીખે બીજા તબક્કામાં મતદાન યોજવાનું છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા અંતિમ દિવસોમા પુર જોસમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા મહીસાગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો જીતાડવા સભા બેઠકો યોજી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે 121 બાલાસિનોર વિધાનસભા બેઠક માટે ઉમેદવાર માનસિંહ ચૌહાણને જીતાડવા પ્રચાર અર્થે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વિશાળ જનસભાને સંબોધી હતી અને ભાજપને જીતડવા અપીલ કરી હતી.
બાલાસિનોર ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણને જીતાડવા વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન કરવા પહોંચેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જંગી જનમેદની સંબોધનતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. ભારત જે કહે છે તેને અન્ય દેશો સાંભળે છે. જેને આપણે યુક્રેન રશિયા યુદ્ધ વખતે અનુભવ્યું છે. યુદ્ધ સ્થગિત રાખીને આપણા ભારતીયોને પરત લાવવામાં સફળતા મળી છે. વધુમાં તેમણે સ્થનિક મુદ્દા વિશે વાત કરતાં જણાવ્યું કે, બાલાસિનોરની જનતા માટે મુખ્યમંત્રીએ પાણીની 800 કરોડની યોજના આપી છે. લોકોની સુખાકારી માટે સરકાર કામ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ બહુમત મળતા 370 ની કલમ હટાવી, પાકિસ્તાનની ધરતી પર જઈને આતંકવાદીઓને ખતમ કર્યા, નરેદ્ર મોદીએ લોકોના વિશ્વાસને જીત્યો છે. ત્યારે વડાપ્રધાન પર વિપક્ષે અપશબ્દોનો પ્રયોગ કરી ગુજરાતના સ્વાભિમાન પર ઘા કર્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી કહેતા કે ઉપરથી 100 રૂપિયા મોકલું તો નીચે 14 પૈસા આવે છે. જ્યારે ભાજપના શાસનમાં સીધા લાભાર્થીના ખાતામાં રૂપિયા આવે છે. આયુષ્ય ભારત યોજનામાં 5 લાખ સુધીના મફત ઈલાજ લોકોને લાભ આપાવે છે. માનસિંહ ચૌહાણ સજ્જન અને સાદા માણસ છે. તમે રેકોર્ડ મતોથી તેમને વિજેતા બનાવશો તેવી ઉપસ્થિત વિશાળ જનસમુહને અપીલ કરી હતી.
આ સભામાં ઉમેદવાર માનસિંહ ચૌહણ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, દાહોદ પ્રભારી રાજેશભાઈ પાઠક, મહામંત્રી ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ સમર્થકો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.