રાજકોટઃ શહેરના રૈયા રોડ ઉપર આવેલી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે રહેતા મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં સૌપ્રથમ મહાનગરપાલિકાના આવાસમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે વિવિધ આવાસ યોજનાઓ બનાવી છે. ત્યારે પોતાની જાતને કાગળ ઉપર ગરીબ બતાવીને કેટલાક શખ્સો પહેલાં આવાસ મેળવી રહ્યા છે અને પછી એ જ આવાસને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી રહ્યા છે. હવે આવા શખસો સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે.
આવાસને સીલ કરી દેવામાં આવતું હોય છે
મળતી માહિતી પ્રમાણે, શહેરના રૈયા રોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકાના આવાસમાં ગેરકાયદેસર કબજો કરનાર ફરજાબેન હમિરાણ સામે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આવાસ ગેરકાયદેસર રીતે ભાડાને આપનારા લોકો સામે નોટિસ આપીને કાર્યવાહી થતી હોય છે, તેમજ ઘણાં કિસ્સાઓમાં જે તે આવાસને સીલ કરી દેવામાં આવતું હોય છે. તેમ છતાં કેટલાક શખ્સોની દાદાગીરીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી છે.
લેભાગુ તત્વોએ ગેરફાયદો ઉઠાવ્યો
સરકાર જ્યારે કોઈ ગરીબલક્ષી યોજના લાવતી હોય છે. ત્યારે તે યોજના સાચા અર્થમાં ગરીબ હોય તેના સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. જો કે, હવે કેટલાક લેભાગુ તત્વો સરકારની આવી ગરીબલક્ષી યોજનાનો ગેરફાયદો પણ ઉઠાવતા હોય છે. આવા શખસો આવાસ યોજનાનો ગેરફાયદો ઉઠાવી ન જાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ આપતી વખતે તેને નિયમો સમજાવવામાં આવે છે. તેમજ આ નિયમોનું કડકપણે પાલન કરવા સૂચના પણ આપવામાં આવતી હોય છે. જો કે, આમ છતાં આર્થિક પ્રલોભનમાં આવીને કેટલાક શખ્સો નિયમોનો ઉલાળીયો પણ કરી દેતા હોય છે.