https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/2b44411e-1a45-4f1b-aa79-dd5c4d0a83c9_1674023713858.jpg
પોરબંદર9 મિનિટ પહેલા
- કૉપી લિંક

જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસ દ્વારા જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ હેડક્વાર્ટર પોરબંદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમાપન સમારોહમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને પોલિસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

33મું ટ્રાફિક સપ્તાહ ઉજવાયું
ભારત સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયા મુજબ પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા સયુંકત રીતે સતત એક અઠવાડિયા સુધી 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી.

વિવિધ કાર્યક્રમો યોજાયા
આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક સારવાર કેમ્પો, વાહન ચાલકો માટે નેત્ર નિદાન કેમ્પો, વાહનોમાં અકસ્માત નિવારવા રીફલેક્ટરો લગાવવા, લોકોમાં ટ્રાફીક જાગૃતિ લાવવા બેનર સ્ટીકર અને પત્રિકા વિતરણ, શાળા-કોલેજોમાં સેમિનાર અને વેબીનારના આયોજનો, ટ્રાફિક જાગૃતિ માટે ઓડીયો-વીડિયો પ્રદર્શન, જનજાગૃતિ રેલી, વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન જેવા અનેક કાર્યક્રમોના માધ્યમ દ્વારા લોકોમાં ટ્રાફિક અને માર્ગ સલામતી બાબતે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.

મહાનુભાવોના સંબોધન
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના સમાપન સમારોહમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતુ. કે, આજે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની પુર્ણાહૂતી છે, પરંતુ માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિએ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં 365 દિવસ જાગૃત રહેવા લોકોને અપિલ કરી હતી. આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી બી.ડી. નિનામાએ જણાવ્યું કે, માર્ગ સલામતીએ લોકો અને પોલીસ બંનેના સંયુક્ત સહકારથી નિવારી શકાય તેવો પ્રશ્ન છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે લોકજાગૃતિ ખૂબ જરૂરી છે. આ સમાપન સમારોહમાં સ્વાગત પ્રવચન નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને આભાર વિધિ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ કરી હતી.
સેવા આપનારનું કરાયુ સન્માન
આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનોમાં મદદરૂપ થનાર જુદા જુદા ક્ષેત્રના લોકોનું આભાર પત્ર અર્પણ કરી સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતુ. ટ્રાફિક સપ્તાહના સમાપન સમારોહને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ સાહિલ કોટેચા, ટ્રાફિક પોલીસનો સમગ્ર સ્ટાફ તથા જેસીઆઈ પોરબંદરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેસીઆઈ પોરબંદરના બિરાજ કોટેચાએ કર્યું હતું.