https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/orig_20_1673995005.jpg
આહવા9 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભોપાલમાં પોતાની કલા પ્રદર્શિત કરવા ગયેલા કલાકારો.
- વઘઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા 12 વાદ્યકારોને ભોપાલ મોકલાયા
ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા સ્વનિર્મિત પારંપરિક લોકવાદ્યોને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રદર્શિત કરવામા આવનાર છે. વઘઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આ માટે 12 વાદ્યકારોને ભોપાલ મોકલવામાં આવ્યા છે. તેઓ 16થી 18 જાન્યુઆરી દરમિયાન આ વાદ્યો દ્વારા પોતાની કળાને પ્રદર્શિત કરનાર છે. ડાંગ જિલ્લાની પ્રકૃતિ અને સંસ્કૃતિ અદભૂત છે. ડાંગ જિલ્લામા 96% લોકો આદિવાસી છે. આ આદિવાસી પ્રજામા ભીલ, કુનબી, અને વારલી જાતિના લોકોનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લાના લોકો આજે પણ પોતાના ઈષ્ટદેવ ડુંગરદેવ, માવલી કનસરીની પૂજા અર્ચના માટે (દેવ વાદ્ય) અથવા પિતૃઓની પારંપરિક પુજા દરમિયાન, તથા મનોરંજન અર્થે અલગ અલગ વાદ્યોનો ઉપયોગ કરે છે. ડાંગી આદિવાસીઓ દ્વારા સ્વનિર્મિત તેમજ હાલમાં દુર્લભ બની રહેલા વાદ્યોના જતન અને સંવર્ધન માટે RIE ભોપાલમાં રાષ્ટ્ર કક્ષાએ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 12 જેટલા અલગ અલગ વાદ્યકારોની ટીમ સાથે યોગેશભાઈ એચ.ચૌધરી (પ્રાધ્યાપક), જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇના માર્ગદર્શન હેઠળ ભોપાલ રવાના થયા છે.
આ વાદ્યોમા કાહળીયા, પાવરી, થાળી વાદ્ય, ઢાક જેવા વિશિષ્ટ અને જે લુપ્ત થવાની આરે છે તેવા વાદ્યોને ભોપાલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં 16થી 18 જાન્યુઆરી દરમિયાન પ્રદર્શિત કરવામા આવનાર છે. ભાવિ પેઢી આ સાંસ્કૃતિક વાદ્યોનુ મહત્ત્વ સમજે તેનુ જતન અને જાળવણી કરે તેમજ શિક્ષણમા તેનો વિનિયોગ થાય તે માટેના પ્રયત્નો કરવામા આવી રહ્યાં છે.
આ વાદ્યો ઉપર પુસ્તક રચના કરવા માટે RIE ભોપાલના ડો. સુરેશભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉતના માર્ગદર્શન હેઠળ ડાયેટના યોગેશભાઈ ચૌધરી દ્વારા ડાંગની સંસ્કૃતિ પર સંશોધનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.