સાબરકાંઠા (હિંમતનગર)24 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અનવરપુરા પાસે જીપ ડાલા ચાલકે ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીમાં સવાર શખ્સનું મોત નિપજયુ હતુ. તો ઊંટલારી ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રાંતિજ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાંતિજના સીતવાડામાં રહેતા ઊંટલારી માલિક જગદીશભાઇ ઈશ્વરભાઇ રાવળ કે જેવો પોતાની લારી લઈને કુંટુંબી ભાઇ ચતુરભાઇ કચરાભાઇ રાવળ સાથે પ્રાંતિજ ખાતે સામાનનો ફેરો ખાલી કરવા માટે આવ્યા હતા. સામાન ખાલી કરીને પરત સીતવાડા ખાતે જઇ રહ્યા તે દરમ્યાન અનવરપુરા બાજુથી એક ચાલક પોતાના કબજાનું જીપ ડાલુ હંકારી લાવીને સામેથી આવી રહેલા ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીનું અકસ્માતમાં કચરઘાણ નિકળી ગયું હતુ. અકસ્માત બાદ સેન્ટીગ ભરેલ ડાલુ પણ પલ્ટીખાઇ ગયુ હતુ. તો ઊંટલારીમાં બેઠેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળનુ ગંભીર ઈજાને કારણે ધટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. અકસ્માત થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. તો અનવરપુરા ખાતે રહેતા તાલુકા સદસ્ય રાજ પટેલ પણ ધટનાસ્થળે દોડી આવી 108ને ફોન કર્યો હતો અને ઈજાગ્રસ્ત લારી ચાલક જગદીશ ઈશ્વરભાઈ રાવળને શરીરે જીવલેણ ઈજાઓ પહોચતા 108 મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળને ચાર બાળકો છે. જેમા બે દીકરા અને બે દીકરીઓ છે. તો અકસ્માતમાં પિતાનુ મૃત્યુ થતા ચારેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર નોધારો બન્યો છે.