નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
- તંત્ર નવા વર્ષમાં સુવિધા શરૂ કરી પ્રવાસીઓને અગવડતાથી છુટકારો અપાવે તેવી આશા
દાંડીયાત્રા આઝાદીની લડતમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જેની યાદમાં નવસારીના દાંડી ખાતે ઐતિહાસિક દાંડી યાત્રાની યાદમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ વર્ષ 2019માં બનાવવામાં આવ્યું. જોકે ત્રણ વર્ષ બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા આજ સુધી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી. દર વર્ષે લાખો પ્રવાસીઓ દાંડી સ્મારકની મુલાકાતે આવતા હોવા છતાં પણ ત્રણ-ત્રણ વર્ષ બાદ કોઇસુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા પ્રવાસીઓને ઘણી અગવડતાનો સામનો કરવો પડે છે.
નવસારીમાં દાંડી યાત્રાની યાદમાં બનાવવામાં આવેલ રાષ્ટ્રીય સ્મારકને નિહાળવા માટે પ્રવાસીઓ દર વર્ષે લાખોની સંખ્યામાં આવે છે. વર્ષ 2022ની વાત કરીએ તો 348389 પ્રવાસીઓએ લાભ લીધો છે. આવી પરિસ્થિતિમાં જેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટથી એટલે કે બસ કે ટ્રેન મારફતે આવે છે તેઓને દાંડી સ્મારક સુધી પહોંચવા માટે કોઇ ખાસ સુવિધા ઉભી ન કરાતા પ્રવાસીઓએ રીક્ષા અથવા પ્રાઇવેટ કાર કે કેબ થકી જ સ્મારક સુધીની સફર કરવી પડતી હોય છે. જો પ્રવાસીઓ માટે તંત્ર ખાસ બસ કે અન્ય સુવિધા ઉભી કરે તો ટ્રેન અને બસ મારફતે આવેલ પ્રવાસીઓને ઘણી રાહત થાય તેમ છે.
નવસારી રેલવે સ્ટેશનથી દાંડી સ્મારક સુધીનું અંતર આશરે 25 કિ.મી છે, જ્યારે બસ સ્ટેશનથી સ્મારક સુધીનું અંતર આશરે 18 કિ.મી છે. આ ઉપરાંત જો સિટી બસ અથવા ખાસ બસ દાંડી સુધી શરૂ કરવામાં આવે તો પણ પ્રવાસીઓની સંખ્યા અને તેનાથી થનારી આવકમાં પણ વધારો થાય તેમ છે.
એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવસેને દિવસે સુવિધામાં વધારો કરી વર્લ્ડ ક્લાસ બનાવીને તેની ખાસ ટ્રેનોદેશના અલગ-અલગ વિસ્તાર માંથી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ ઐતિહાસિક દાંડી સ્મારક સુધી પહોંચવા કોઇ જ પ્રકારની ખાસ પબ્લિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આઝાદીની યાદ અપાવતા દાંડી સ્મારક સુધી પહોંચવા સુવિધા નવા વર્ષમાં ઉભી કરાશે કે કેમ તે એક સવાલ છે.
2022માં મુલાકાતીઓની સંખ્યા
મહિનો | પ્રવાસી |
જાન્યુઆરી | 26,136 |
ફેબ્રુઆરી | 20,506 |
માર્ચ | 30,421 |
એપ્રિલ | 17,695 |
મે | 44,915 |
જૂન | 39,294 |
જૂલાઇ | 12,383 |
ઓગસ્ટ | 29,387 |
સપ્ટેમ્બર | 13,845 |
ઓક્ટોબર | 49,915 |
નવેમ્બર | 35,582 |
ડિસેમ્બર | 28,310 |