એક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આરંભ થઇ ચૂક્યો છે. એસ.એસ.સી.નું 14 માર્ચ, મંગળવારની સવારે પ્રથમ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાયા હતા. ત્યારે અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છઓ પાઠવામાં આવી હતી. ક્યાંક તેમને કુંક તિલક કરીને ફૂલોથી સ્વાગત કરાયું હતું તો ક્યાં તેમને પેન આશીર્વાદ પત્ર એનાયત કરાયા હતા.

મણિનગર સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી
બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શાળા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પૂજનીય સંતોએ એ કંકુ તિલક કરી ફૂલોથી સ્વાગત કરી મોં મીઠું કરાવી ઉત્તિર્ણ થવા શુભેચ્છા પાઠવી હતી.HSC & SSC બોર્ડની પરીક્ષાના પ્રારંભે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને હિંમત આપતા અને શુભેચ્છા પાઠવતા મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી મહારાજની આજ્ઞાથી પૂજનીય સંતો અને મણિનગર સ્વામિનારાયણ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અંકિત ચોકસી તેમજ શિક્ષકગણ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.

કુમકુમ મંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને પેન અને આર્શીવાદ પત્ર અર્પણ કરાયા
સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે તા. 14 માર્ચના રોજ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી રવિવારના રોજ વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને પ્રાર્થના કરી હતી. સર્વ વિદ્યાર્થી મિત્રોને ભગવાનની આરતીનો લાભ આપવામાં આવ્યો અને આ પ્રસંગે સર્વને પરીક્ષામાં લખવા માટે કુમકુમ મંદિરનાં મહંત સાધુ હરીકૃષ્ણસ્વરૂપદાસની નિશ્રામાં પેન અને સાધુતાની મૂર્તિ આનંદપ્રિયદાસ સ્વામીના દિવ્ય આર્શીવાદના પત્ર અર્પણ કરવામાં આવ્યાં હતા.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસે આ પ્રસંગે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે, પરીક્ષાનો ભય કાઢી નાંખવાની જરૂર છે. ભય ને ભગાડી નિર્ભય રહો,હિંમત રાખી હસતાં રહો…વર્ષ દરમ્યાન તમોએ મહેનત કરી છે, તો હવે ભગવાનને પ્રાર્થના કરીને લખશો, તો તમને સ્વામિનારાયણ અવશ્ય સફળતા અપાવશે જ.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના ત્રણ પાયા છે. દ્રઢ સંકલ્પ, દ્રઢ પુરુષાર્થ અને સાહસ.તમો બસ સંકલ્પ કરો કે, મારે આટલા માર્ક્સ લાવવા છે, અને એ પ્રમાણે પુરુષાર્થ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે જ. જે જીવનમાં પુરુષાર્થ કરે છે, તે જ સફળતાના શિખરે પહોંચી શકે છે.તેથી આત્મવિશ્વાસ રાખીને, પ્રયત્ન કરવાની જરૂર છે.
જીવનમાં કોઈપણ સફળતાના બે આધારસ્તંભ છે.એક છે પુરુષાર્થ અને બીજો છે ભગવાનની કૃપા. જે પુરુષાર્થ કરે છે, તેના ઉપર ભગવાનની કૃપા અવશ્ય થાય છે. જીવનમાં એકલો પુરુષાર્થ પણ કામ નથી લાગતો અને એકલી ભગવાનની કૃપા થશે એમ માનીને બેસી રહેવાથી પણ કામ થતું નથી.બંને જોઈએ છે. તેથી આપણે પુરુષ પ્રયત્ન પણ કરીએ અને ટેન્શનથી મુક્ત થવા માટે ભગવાનને પ્રાર્થના પણ અવશ્ય કરીએ.

મહત્વની વાત એ છે કે, વિધાર્થીમિત્રો જ્યારે પણ ભણવા બેસો, ત્યારે ભગવાનને યાદ કરીને બેસો, તો સ્વામિનારાયણ અવશ્ય સહાય કરશે… જે વાંચશો તે બધું જ યાદ રહેશે. ભગવાનને સાથે રાખીશું તો, તમારી પરીક્ષા અવશ્ય સારી જશે અને આપની મહેનત અવશ્ય રંગ લાવશે. જેમ વિધાર્થીઓનું કર્તવ્ય છે કે,મહેનત કરીને પરીક્ષા આપવી, તેમ માતાપિતા અને વડીલોની પણ ફરજ છે કે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, તેને ખોટી ખોટી ચિંતા થાય, તેનો આત્મવિશ્વાસ ડગી જાય તેવી વાતો ના કરશો.
બસ, વિધાર્થી મિત્રો, તમારી પરીક્ષા સારી રીતે પસાર થાય, તમારી ઈચ્છા મુજબની તમે સફળતા પ્રાપ્ત કરો,અને સાથે સાથે જીવનમાં આગામી આવનાર અનેક મુશ્કેલીઓમાંથી તમો હેમખેમ અને હિંમતભેર રીતે પસાર થઈને ધર્મ – સમાજ અને દેશની સેવા કરી શકો તેવા તમો બનો એ માટે અમો સર્વ સંતો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરું છું કે, તેઓ તમને દિવ્ય બળ,બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરે.
