પોરબંદર8 મિનિટ પહેલા
- કૉપી લિંક

આગામી તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. જેમાં પોરબંદર જિલ્લાના આજૂબાજૂ ત્રણેય તાલુકાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યનું હોય છે. તેમનું ભવિષ્ય નક્કી કરવાનું આ તેમનો પ્રથમ પડાવ એટલે બોર્ડની પરીક્ષા હોય છે. ત્યારે આ બાબતોને ધ્યાને લઇ આજરોજ પોરબંદર જિલ્લા NSUI ટીમ ડેપો મેનેજર પાસે રજૂઆત માટે પહોંચી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, હજારો પરીક્ષાર્થીઓ સોરઠ, બરડા અને ઘેડ વિસ્તારમાંથી અહીં પોરબંદર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે આવતા હોય છે. ત્યારે તે એસટી બસમાં અપડાઉન કરતા હોય છે. ક્યારેય એવું બને છે કે, બસ તેમના નિર્ધારિત સમય કરતા મોડી આવતી હોય છે. ક્યારેય બસ બ્રેકડાઉન થતી હોય છે. અમુક સંજોગો આવા બનતા હોય છે. ત્યારે ખાસ તકેદારી રાખી અને તે પંથક પરથી આવતા પરીક્ષાર્થીઓ માટે ખાસ સારી બસની વ્યવસ્થા અને સમયસર તે બસ ગામડાના રૂટ પર ચાલે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ડેપો મેનેજર દ્વારા પરીક્ષાર્થીઓ માટે ખાત્રી આપી છે કે, તેમના માટે સારી બસો ફાળવાશે અને પરીક્ષાર્થી તેમના નિર્ધારિત સમય પર પહોંચી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે અને ગામડા પંથક માટે પરીક્ષા દરમિયાન તે રૂટો માટે ખાસ બસોની વ્યવસ્થા કરવા આવી છે. તે બસને બીજા રૂટ પરથી મોડા કરી પરીક્ષાના સમય પર દોડાવવામા આવશે. આ બદલ પોરબંદર જિલ્લા NSUIએ ડેપો મેનેજરનો આભાર માન્યો હતો.