વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેર અને ધરમપુર સહિતના વિસ્તારમાં વાહનોની અવર જવર માટે 30મી ઓક્ટોબર 2021ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હાલ ROBની મલ્ટી લેયર બ્રિજની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. બ્રિજનું નિર્માણ કાર્ય બુલેટ ટ્રેનની રફતારે થઈ રહ્યું છે. રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગ મળીને કુલ 194.17 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કુલ 2467 મીટરનો બ્રિજ બની રહ્યો છે.
વલસાડ શહેરનો ROBની જગ્યાએ રેલવે વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટુ લેયર બ્રિજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થઈ રહ્યો છે. વલસાડ ROB ઉપર વધતા જતા ટ્રાફિકના ભારણને લઈને નવો બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વલસાડ ROB ઉપરથી દિવસ દરમ્યાન 12 હજારથી વધારે વાહનો રોજ અવર જવર કરે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વાપી ખાતે 30 ઓક્ટોબર 2021ના રોજ નવા બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ ROBમાં 2 લેયર બનાવવામાં આવશે. જેમાં એક લેયરમાં વલસાડ તરફ 815 મીટર, અતુલ તરફ 841 મીટર અને ધરમપુર તરફના રોડ ઉપર 811 મીટર લંબાઈ બ્રિજના સેન્ટરથી રાખવામાં આવી છે. એક લેયર બ્રિજ તૈયાર થયા બાદ હયાત બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરીને બીજા લેયર માટે કામગીરી કરવામાં આવશે. જેમાં વલસાડ તરફ 440 મીટર, ધરમપુર તરફ 380 મીટર, રેલવે યાર્ડ તરફ 330 મીટર અને અતુલ તરફ 410 મીટર લંબાઈ બ્રિજના સેન્ટરથી રાખવામાં આવી છે. આ સંપૂર્ણ બ્રિજનું નિર્માણ 194.17 કરોડના ખર્ચે તૈયાર થશે.
વલસાડ રેલવે ROB ઉપર ટ્રાફિકની સમસ્યા નવો બ્રિજ શરૂ થયા બાદ દૂર થઈ જશે. હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માર્ગ મકાન વિભાગ અને રેલવે વિભાગના ઇજનેરો કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. ચાર માર્ગીય બ્રિજના નિર્માણથી મોટા ભાગે ટ્રાફિકનું સરળ સંચનલ પણ થશે. વલસાડના ROBની ડિઝાઇન જાહેર થતા લોકોમાં કુતુહલ વધ્યું છે.