Sunday, March 12, 2023

અમદાવાદના યુવક પાસેથી સોનાનું મંગળસૂત્ર અને 2 લાખ પડાવ્યા, પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ | Gold mangalsutra and 2 lakhs stolen from youth of Ahmedabad, complaint of fraud against five | Times Of Ahmedabad

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નિકોલમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નિકોલનો યુવક લગ્નની શોધમાં હતો ત્યારે વચેટીયા મારફતે મુંબઇની યુવતી સાથે તેનો સંપર્ક થયો હતો અને બાદમાં તેની સાથે લગ્ન પણ થયા હતા. લગ્ન સમયે સોનાના મંગળસૂત્ર અને લગ્ન ખર્ચ પેટે કુલ 2 લાખ કન્યા અને વચેટીયાએ પડાવ્યા હતા. ત્યારબાદ દુલ્હને કહ્યુ કે મારી માતાનું મૃત્યુ થયુ છે તેમ કહીને લૂંટેરી દુલ્હન ભાગી ગઇ હતી. આ અંગે યુવકની બહેને પાંચ વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

લક્ષ્મણભાઇ માટે લગ્નની વાત કરી
નિકોલમાં 33 વર્ષીય રેખાબેન સોનકુશરે પરિવાર સાથે રહે છે. જેમાં તેમના મોટાભાઇના લગ્ન ન થયા હોવાથી કન્યાની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે છ મહિના અગાઉ તેમણે જાણવા મળ્યુ હતુ કે, નવસારીના નરેશભાઇ રાણા લગ્ન વાંચ્છુક વ્યક્તિઓના લગ્ન કરાવવાનું કામ કરે છે. જેથી તેમણે લક્ષ્મણભાઇ માટે લગ્નની વાત કરી હતી જેમાં નરેશે જણાવ્યું કે કન્યાની તપાસ કરીશ જો કોઇ ધ્યાનમાં આવશે તો હું જાણ કરીશ.

થોડા દિવસ પછી લગ્ન કરીશું તેમ વાત કરી
ગત 15 ફ્રેબ્રુઆરીએ નરેશે ફોન કરીને કહ્યુ કે, મુંબઇની એક કન્યા છે તેમ જણાવી તેનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ ગત 20 ફ્રેબ્રુઆરીએ તેઓ મુંબઇના બ્રાન્દ્રા ખાતે ગયા હતા. ત્યાં નરેશે જેનો ફોટો મોકલ્યો હતો તે કવિતા તથા તેની માતા મિનાક્ષીબેન સાથે મુલાકાત થઇ હતી. જે બાદ થોડા દિવસ પછી લગ્ન કરીશું તેમ વાત થઇ હતી. ત્યારે નરેશે કહ્યુ કે કવિતાની તબિયત સારી રહેતી નથી અને તેના ભાઇ ભાભી તેને રાખતા નથી જેથી જલ્દી લગ્ન કરી નાખો તેવુ દબાણ કરતો હતો.

કન્યાને સોનાના દાગીના ચડાવ્યા
ત્યારબાદ ગત 26 ફેબ્રુઆરીએ નરેશ અને કન્યા રેખાબેનના ઘરે આવી ગયા હતા. જ્યારે ઘરમાં જ પંડિત બોલાવીને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ વચેટીયાએ લગ્ન કરાવવા પેટે રોકડા 1.60 લાખ અને કન્યાને સોનાના દાગીના ચડાવ્યા હતા. જેની કિંમત 40 હજાર હતી. ત્યારબાદ કવિતા રેખાના ઘરે રોકાઇ હતી અને બીજા દિવસે જણાવ્યુ કે, મારે મહાકાળીના દર્શન કરવા જવુ છે તેથી લક્ષ્મણ અને કવિતા દર્શન કરવા નીકળ્યા હતા.

નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ
ત્યાબાદ કાલુપુર રેલ્વે સ્ટેશને કવિતાએ કહ્યુ કે, તેની માતા મૃત્યુ પામી છે. જેથી હું મુંબઇ જઉ છું કહીને નીકળી ગઇ હતી. ત્યારબાદ તે પરત આવી ન હતી અને ફોન પણ ઉપાડતા ન હતા. જેથી તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા રેખાબેને કુલ પાંચ વ્યક્તિઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે…