પોરબંદરએક કલાક પહેલા
પોરબંદરના બોખીરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ વાછરાડાડાના મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં સવારના સમયે ફાયરિંગની બની હતી. જેમાં કેટલાક શખ્સો દ્વારા સંતોકસિંગ દૂધાણી નામના આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 2 ગોળી સંતોકસિંગને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા આધેડને સારવાર માટે પોરબંદર શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જૂના મનદુઃખને લઈ ફાયરિંગ ઘટના બની
ફાયરિંગની ઘટનાને લઈને સિટી ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામી સહિત ઉદ્યોગનગર પોલીસ અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાને લઈ સિટી ડી.વાય.એસ.પી નીલમ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, આરોપીઓ અને ઈજાગ્રસ્ત સંતોકસિંગ વચ્ચે ડુક્કર પકડવાના કોન્ટ્રાક્ટ બાબતના જૂના મનદુઃખને લઈ આ ઘટના બની છે. જેમાં અંદાજીત ત્રણ જેટલા આરોપીઓ દ્વારા ભોગ બનનાર સંતોકસિંગ પર ચાર જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોરબંદર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


