સુરેન્દ્રનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપર 20 વર્ષ જૂનો કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એક માત્ર આ પુલ આવેલો છે. આ પુલ ઉપર વર્ષ 2022ના જાન્યુઆરી 24ના રોજ છ ફુટનું ગાબડુ પડી ગયુ હતુ.જેને લઇ અકસ્માતનો ભય સર્જાવાની ભિતી સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે તંત્રમાં દોડધામ મચતા થીગડા મારી સંતોષ માની લીધો હતો. ત્યારે અહીં ફરી પુલ પર નાના મોટા ખાડા પડતા કેનાલ નીચે દેખાઇ રહી છે.આથી ભયના ઓથાર વચ્ચે વાહનચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા અને પાટડી તરફ જવા માટે માત્ર એક ઓવર બ્રિજ શહેરી વિસ્તારમાંથી નિકળતો હોય અને તેના ઉપર જ 6 ફૂટનું ગાબડું પડી જતા ભયના ઓથાર વચ્ચે લોકો પસાર થવા મજબૂર બની રહ્યા છે. આ પુલ બન્યાને વર્ષો થઈ ગયા, ત્યાર બાદ તેની જાળવણીના નામે માત્ર થીગડા મારવામાં આવે છે. આ પુલ પર થઇ ધ્રાંગધ્રા તરફથી સુરેન્દ્રનગર આવતા જતી એસટી બસો, સી.યુ.શાહ મેડીકલ કોલેજ હોવાથી એમ્બ્યુલન્સ તથા દુધરેજ ગામ તરફ જવા આવવા અનેક લોકો નાના મોટા વાહનો અને ડમ્પરો પણ પસાર થાય છે.
અહીં દુધરેજ કેનાલમાંથી ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ કેનાલ ઉપર 20 વર્ષ પહેલાના પુલ જે હાલ જર્જરિત બની ચૂકયો છે. જેના પર અગાઉ છ ફૂટનું ગાબડું પડ્યુ હતુ. જેમાં ફરી ગાબડા પડયા છે, તેની નીચે 30 ફૂટની કેનાલ પાણીથી છલોછલ ભરેલી છે. જો તુટશે તો અહીંથી પસાર થનારા લોકોના જીવ હોમાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આથી તંત્ર તાત્કાલિક ધોરણે આ પુલ બંધ કરાવી અને નવીનીકરણ હાથ ધરે તે જરૂરી છે.