સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા
- કૉપી લિંક
હિંમતનગરમાં વિદ્યાભારતી સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ ડૉ.નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ 14 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. વાર્ષિકોત્સવ કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, વિદ્યાભારતી મહેસાણા વિભાગના અધ્યક્ષ ભરત મોદી, બાબુ રથવી, વિભાગના પૂર્ણકાલીન કાર્યકર્તા અને ટ્રસ્ટ પ્રમુખ જે.ડી.પટેલ, શ્યામ સલુજા, પ્રધાનાચાર્ય પંજક શુકલા તથા ટ્રસ્ટી મંડળના સદસ્યો, વાલીગણ, પૂર્વ છાત્રો અને સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ.એસ.મહેતા આર્ટ્સ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ હિંમતનગરના કોમર્સ વિભાગના ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડૉ.જિતેન્દ્ર શર્માએ ‘કોર્પોરેટ એક્સપેક્ટેશન ફ્રોમ યંગ પ્રોફેશનલ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતુ. કોમર્સના વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પછી આગળ કઈ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દી બનાવી શકાય તેની અનેક દૃષ્ટાંતો થકી ઊંડી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના આરંભે કોલેજના પ્રિન્સિપાલ ઉત્પલ પટેલે મુખ્ય વક્તા ડૉ.જિતેન્દ્ર શર્માએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમના અંતે કોમર્સ વિભાગના વડા અને આ કાર્યક્રમના કન્વીનર ડૉ.જે.બી.પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાર્યક્રમના કો-ઓર્ડિનેટર અને કોમર્સ વિભાગના આસિસ્ટન્ટ અધ્યાપક ડૉ.રાજેશ પટેલે કર્યું હતું. કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.