અમદાવાદ23 મિનિટ પહેલા
ગુજરાત સરકારે રજૂ કરેલા ઐતિહાસિક બજેટ પર વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે આજે 10મી માર્ચે પણ બજેટ સબંધિત ચર્ચા ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દા હેઠળ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભાજપના જ ધારાસભ્યએ અદાણી-અંબાણી અંગે નિવેદન કરી સૌ કોઈને વિચારતા કરી દીધા હતા. ત્યારે અદાણી-અંબાણી અંગેનું આ નિવેદન આગામી સમયમાં વિવાદિત મુદ્દો બને તો નવાઈ રહેશે નહીં.
અમારી લડાઇ અમારા જ માણસો સાથે છેઃ સી. જે. ચાવડા
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટના અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે કોગ્રેસના ધારાસભ્ય અને દંડક સી. જે. ચાવડાએ પોતાના વિચારો વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા હતા. સી. જે. ચાવડાએ રાજ્યમાં વધી રહેલા દેવા બાબતે ચિંતા વ્યક્ત કરતાં ગૃહમાં પોતાની સ્થિતિ મહાભારત જેવી છે, તેવું કહીને કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્ય પર કટાક્ષ કર્યો હતો. સી. જે. ચાવડાએ કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યના નામ લઇને કહ્યું હતું કે, અમારી લડાઇ અમારા જ માણસો સાથે છે.
‘27 વર્ષમાં એક પણ ડેમ બનાવ્યો હોય તો હું રાજીનામું આપીશ’
કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું 3 લાખ કરોડનું બજેટ છે, તેની સામે સરકારનું દેવું પણ 3 લાખ કરોડ છે. રાજ્યમાં જે બાળક જન્મે છે તે 70 હજારનું દેવું માથે લઇને જન્મ લે છે. 3 લાખ કરોડના બજેટમાં રાજ્ય સરકાર 20 કરોડ વ્યાજ ચૂકવે છે. 20 કરોડ મૂડી ચૂકવે છે. 50 હજાર કરોડ પગાર અને પેન્સનમાં ચૂકવાય છે. કોગ્રેસના સમયમાં 10 કે 20 કરોડનું બજેટ રજૂ થતું હતું. કોગ્રેસ 500 કરોડના બજેટમાં પણ ગુજરાતની નદીઓ પર ડેમ બનાવી રાજ્યના ખેડૂતોના ખેતરમાં પાણી પહોચાડ્યું છે. ભાજપ સરકારે 27 વર્ષની સરકારમાં એક પણ ડેમ બનાવ્યો નથી. સરકારે એક પણ ડેમ બનાવ્યો હોય તો જાહેર કરે હું કોગ્રેંસમાંથી રાજીનામું આપી દઇશ. કોંગ્રેસે નદીઓ પર જે ડેમ બનાવ્યા છે એ ડેમ એક એક લાખ કરોડના ખર્ચે તૈયાર થયા છે.
‘27 વર્ષમાં સૂત્રો બનાવ્યા, એક પણ ડેરી નથી બની’
કોગ્રેસના સમયમાં શ્વેતકાંતિ થઇ. આ દરમિયાન, આણંદમાં અમુલ, મહેસાણામાં સાગર ડેરી, બનાસકાંઠામાં બનાસડેરી, સાબરકાંઠામાં સાબર ડેરી બનાવાઈ છે. આ ઉપરાંત ગામડે ગામડે ડેરી અને સહકારી સંસ્થાઓ કોગ્રેંસના સમયમાં બની છે. જો કે, ભાજપના 27 વર્ષના શાસનમાં એક પણ ડેરી બનાવવામાં આવી નથી. ભાજપે માત્ર સૂત્રો બનાવ્યા ખોટી પ્રસિધ્ધિ મેળવી છે. ભાજપે 27 વર્ષના શાસનમાં 8 જેટલા જિલ્લા બનાવ્યા પણ એક પણ જિલ્લામાં ભાજપને ડેરી બનાવવું સૂઝ્યું નથી.
‘લઘુમતી સમાજના લોકોના વિકાસ વિશે ગૃહમાં ચર્ચા’
બીજી તરફ વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની ચર્ચા પર બોલવા માટે ઉભા થયેલા ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને ગુજરાતમાં લધુમતી સમાજના વિકાસની વાત કરી હતી. ગુજરાતમાં લધુમતી સમાજના વિકાસમાં ભાજપ સરકારનો શું ફાળો છે? તેની માહિતી ધારાસભ્યે રજૂ કરી હતી. આ ઉપરાંત દરિયાપુર વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના લોકોના વિકાસ વિશે ગૃહમાં ચર્ચા કરી હતી.
કોંગ્રેસે લતીફ પેદા કર્યો, ભાજપે અદાણી પેદા કર્યો: કૌશિક જૈન
ગુજરાત વિધાનસભામાં અદાણી અને અંબાણીનું નામ લેવામાં આવ્યું હતું. આ વખતે અદાણી અને અંબાણીનું નામ કોગ્રેંસે નહીં પણ ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા લેવામાં આવ્યું છે. ધારાસભ્ય કૌશિક જૈને પોતાના પ્રવચનના અંતે જણાવ્યું હતું કે, કોગ્રેસ સરકારે લતીફ અને મોહમદ સુરતી જેવા અસમાજિક તત્વોને જન્મ આપ્યો હતો. જ્યારે ભાજપ સરકારે અદાણી અને અંબાણી જેવા ઉઘોગપતિ પેદા કર્યા છે. જો કે, ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર દરમિયાન અદાણી અને સરકાર વચ્ચેના સંબંધને લઇને વિપક્ષ પક્ષો અવાર નવાર સરકાર પર સવાલ ઉઠાવતા આવ્યા છે. ત્યારે અદાણી બાબતે જે વિવાદ હાલ ચાલી રહ્યા છે, તેવા સમયમાં ધારાસભ્યનું આ નિવેદન કોગ્રેસ માટે આગામી સમયયમાં વિરોધનો મુદ્દો બની શકે છે.