- Gujarati News
- Local
- Gujarat
- Devotees Will Distribute Mohanthal Prasad In Ambaji; Australian PM Becomes Guest Of Ahmedabad; St. Big News Regarding 3rd To 8th Exam
એક કલાક પહેલા
ઓસ્ટ્રેલિયાના PMએ કરી ગાંધી આશ્રમની મુલાકાત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. આજે બંને દેશોના વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. ત્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જેમને રિસીવ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે રવાના થયા હતા. ત્યારે એન્થોની અલ્બેનીઝ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

ધૂળેટીના પર્વ પર ઉમંગના રંગો
અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક-યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે ઝૂમ્યાં હતાં. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું. ગુજરાતભરમાં આજે ધુળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ રહ્યો છે.રંગોના તહેવાર ધુળેટીની અમદાવાદમાં આજે ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. એમાં પણ યુવાનોમાં સવારથી જ ધુળેટીનો ઉત્સાહ છે. ત્યારે શહેરમાં 150 કરતાં પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મહાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ રહેશે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પાર્ટીનાં આયોજન કરાયાં છે. જ્યારે બીજી બાજુ, આજે ધુળેટીને પગલે સાબરમતી રિવરફ્રન્ટના અલગ અલગ બાગ-બગીયા બંધ રાખવામાં આવ્યા છે.

ભક્તો કરશે મોહનથાળનું વિતરણ
ધુળેટીના પાવન દિવસથી ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. જ્યાં સુધી દેવસ્થાન તરફની મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે.અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાવતાં એના વિવાદનો હજી અંત આવ્યો નથી. ત્યારે સમગ્ર દેશમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થતાં દરેક હિન્દુ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે. છેલ્લા 6 દિવસથી વહીવટીતંત્ર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરાતાં સમગ્ર મામલો ગરમાયો છે. ત્યારે અંબાજી અને દેશભરના લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. અંબાજી મંદિરની ઓળખ ધરાવતું અને પરંપરાગત 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હતો અને માના મંદિરે મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. જેથી દેશ દુનિયાથી આવતા માઇભક્તો માતાજીના આશીર્વાદ સ્વરૂપ ગણાતા મોહનથાળના પ્રસાદથી ધન્યતા અનુભવતા હતા.

ધો.3 થી 8ની વાર્ષિક પરીક્ષા એકસાથે યોજાશે
ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. મહત્વનું છે કે, સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો કાર્યક્રમ સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલમાં પરીક્ષાનું સમયપત્રક પણ એક જ રહેશે. રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. આ તરફ હવે ધોરણ 3 થી 8ની પરીક્ષાની તારીખો પણ સામે આવી છે. ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. જેને લઈ જિલ્લા કક્ષાએ આ પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

આવતીકાલથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે
નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NAFED એ ભારત સરકારનાં આદેશ અનુસાર ગુજરાતમાં ખરીફ ડુંગળીઓની ખરીદી કરશે. ડુંગળીનાં માર્કેટમાં ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ નિર્ણય ગુજરાત માટે લીધો છે. આ અંગે ગઈકાલે રાત્રે કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલને કેટલીક રજૂઆત કરી હતી.ખરીફ ડુંગળીની સિઝન અંતમાં ડુંગળીના ભાવો ઘટી રહ્યાં છે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવા નાફેડ 3 apmcમાંથી ડુંગળીની ખરીદી કરશે. આ ખરીદી આવતી કાલ એટલે કે 9 માર્ચનાં રોજથી શરૂ કરવામાં આવશે.

ધૂળેટીનો તહેવાર થયો રક્તકંજિત
રાજકોટમાં આવેલા અજંતા એપાર્ટમેન્ટ્સમાં રહેતાં પિતા પ્રેમસંગ નેપાળીએ પોતાના સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે પિતાએ તમામ પરિવારજનો પર હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો જેમાં 3 માસની એક દીકરી, 4 વર્ષીય પુત્ર અને પત્નીનો સમાવેશ થાય છે. પિતાએ નિર્દયતાથી પોતાની 3 માસની નાનકડી પુત્રી પર હુમલો કર્યો. એટલું જ નહીં, તેનો ભાઈ એટલે કે 4 વર્ષનાં નિયત નામના દિકરા અને પત્ની પર હુમલો કર્યો છે.પુત્ર નિયત અને પત્ની બંને ગંભીરરીતે ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અફસોસની વાત તો એ છે કે 3 માસની દીકરી લક્ષ્મીનું પિતાએ કરેલા હુમલામાં મૃત્યુ થયું છે. જેના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસમાં કોર્ટનો ચૂકાદો
સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બનેલા જેતપુર તાલુકાના જેતલસર પંથકના સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસમાં 722 દિવસ બાદ જેતપુર સેશન્સ કોર્ટે અભૂતપૂર્વ કહી શકાય એમ રાત્રિના 12 વાગ્યે ચુકાદો આપ્યો હતો અને ન્યાયાધીશે સગીરા પર છરીના 36 ઘા મારનાર એકતરફી પ્રેમી જયેશને દોષિત જાહેર કર્યો હતો. 10 માર્ચના રોજ તેની સજા જાહેર કરવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે ચુકાદો જાહેર થયો ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોથી કોર્ટમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી.જેતલસર ગામે રહેતો જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો, જેથી તેને પામવા માટે વારે વારે પ્રયાસો કરતો હતો. અને સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તે તેની પાછળ પાછળ જતો. એમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરુણીના પિતા કિશોરભાઈ અને માતા શીતલબેન ખેતમજૂરીએ ગયાં હતાં. ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘૂસી તરુણીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશને તાબે થઈ ન હતી.
