વલસાડ37 મિનિટ પહેલા
રાજ્ય સરકારે વ્યાજખોરી ઉપર અંકુશ લાવવા માટે મુહિમ ચલાવી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ગેરકાયદેસર નાણાં ધીરધારનો વેપલો કરતા 40 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી. તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને વ્યાજખોરના ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસ વિભાગે રાષ્ટ્રીયકૃત બેંકો સાથે મળીને લોન મેળાનું વલસાડ અને વાપીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 1500થી વધુ અરજદારોએ અરજી કરીને પોતાના વેપાર ધંધા માટે જરૂરિયાત મુજબની બેંકના નિયમોને આધીન લોનની માંગણી કરી હતી. જેમાંથી 306 લાભાર્થીઓને કુલ 1.63 કારોડની લોન અલગ અલગ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી છે. અને 306 લાભાર્થીઓને ઊંચું વ્યાજ નહીં ચૂકવવું પડે. માત્ર બેંકના નિયમોને આધીન બેંક વ્યાજ જ ચૂકવવું પડશે. જેથી નાનો વેપાર ધંધો કરતા વેપારીઓને ઊંચા વ્યાજના ચક્કરમાંથી બહાર કાઢવામાં પોલીસે પ્રયાસ હાથ ધર્યો હતો.

રાજ્યમાં વ્યાજખોરીના મામલે ઘણા લોકોએ આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. તો કેટલાક લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારના ધ્યાને આવતા ફેબ્રુઆરી માસમાં રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનું લાયસન્સ મેળવ્યા વગર લોકોની મજબૂરીનો લાભ લઈને ઊંચું વ્યાજ ખંખેરતા વ્યાજખોરો સામે સ્પેશિયલ મુહિમ છેડવામાં આવી હતી. જે મુહિમના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ વ્યાજખોરો સામે કડકાઇથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 40 જેટલા વ્યાજખોરો સામે અરજદારોએ ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ વલસાડ અને વાપીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં કુલ 1500થી વધુ લાભાર્થીઓએ લોન મેળવવા અરજી કરી હતી. વલસાડ જિલ્લાની અલગ અલગ બેંકોમાંથી કુલ 306 લાભાર્થીઓને કુલ 1.63 કારોડની લોન મંજુર કરવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ લાભાર્થીઓને બેન્ક લોન મંજુર થયાના ચેકનું વિતરણ કરવામાં આવશે. બાકી રહેલા લાભાર્થીઓને બેંકો દ્વારા ખૂટતા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હોવાનું DySP ફળદુએ જણાવ્યું છે.
