Monday, March 13, 2023

ઇ-ગવર્નન્સના ભાગરૂપે ઇ-સરકાર એપ શરૂ કરાઈ, રાજ્યનો 32 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો: ઋષિકેશ પટેલ | Rishikesh Patel Said E-Sarkar app launched as part of e-governance, 32 lakh hectares of state covered under irrigation | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રશ્ન પ્રત્યુત્તરનો સમય ચાલી રહ્યા છે. આ દરમિયાન ગૃહમાં રાજ્યની વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ સહિતની માહિતી આપવામાં આવી હતી. તેમજ બીજી બાજુ મંત્રીએ નર્મદા યોજના અંતર્ગત આવતી તમામ કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી.

ઘણી સેવાઓને સરકારે ઓનલાઇન કરી
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ માટે તૈયાર કરવા અને પ્રોએક્ટિવ ગવર્નમેન્ટની વિભાવનાને સાકાર કરવી તે સામાન્ય વહીવટ વિભાગનો ધ્યેય છે. ગુડ ગવર્નન્સ બાદ હવે ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના ધ્યેયને સિધ્ધ કરવાની દિશામાં ગુજરાત સરકારે ડગ માંડ્યા છે. નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન અને આંગળીના ટેરવે ઉપલબ્ઘ બને તે માટે ઘણી સેવાઓને સરકારે ઓનલાઇન કરી છે.

ઇ-ગવર્નન્સના ભાગરૂપે ઇ-સરકાર એપ શરૂ કરાઈ
સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી ઉમેર્યું કે, રાજ્યની વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ શરૂ કરવામાં આવી છે. ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરાયું છે.

સેવા સેતુ કાર્યક્રમ સરકાર દ્વારા ચલાવાઈ છે
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, નાગરિકો અને સરકાર વચ્ચે સેતુરૂપ બનીને જરૂરિયાતમંદોને ઘરઆંગણે જ યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવતો મહત્ત્વનો કાર્યક્રમ સેવા સેતુ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાશનકાર્ડ, આધારકાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય, સાતબાર/ આછ-અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડની અરજી, સુકન્યા સમૃધ્ધિ જેવી વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. તે ઉપરાંત રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી.અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસ કામો માટે રૂ.1310 કરોડના રકમની આ વર્ષના બજેટમાં જોગવાઇ કરી છે.

“આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો” અંગે માહિતી આપી
મંત્રીએ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે,રાજય સરકારે પાયાના સ્તરે વિકેન્દ્રિત આયોજનને વધુ મજબૂત બનાવવા “તાલુકા સરકાર”નો નવો અભિગમ અપનાવ્યો છે. “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો” યોજના વર્ષ 2011-12થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા રાજય સરકાર ગ્રામ્ય કક્ષાએ પાયાની સુવિધાઓ જેવી કે ગ્રામ્ય આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્‍થા, ઘન કચરાના નિકાલ માટેની યોજના, પીવાના પાણીની યોજના જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

જલમતી યોજના હેઠળ વિવિધ કામો હાથ ધરાઈ છે
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કેબીનેટ સબ કમિટીની ભલામણોના આધારે વર્ષ 2018માં જે શાળામાં ભારત સરકારની જલમતી યોજના હેઠળ R.O. પ્લાન્ટ આપવામાં આવેલા હોય તે સિવાયની સરકારી/ મહાનગરપાલિકા/ નગરપાલિકા/ ગ્રાન્ટ ઈન-એઈડ પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટના કામો, જાહેર કૂવાની પ્રોટેકશન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેકશન નેટના કામો, સ્મશાન ગૃહના અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય)ના કામો, ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઈ.ડી. લાઈટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદા શેડના કામો, ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામોનો સમાવેશ કરીને આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ યોજનાનું અમલીકરણ તાલુકા કક્ષાએથી હાથ ધરવાનું રહે છે.

32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ આવરી લેવાયો
વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી 17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા 5.45 લાખ હેક્ટર મળી કુલ 32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે માર્ચ-2023 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2023-24 દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે, જે માટે આગામી નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.3734 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નહેરોના બાંધકામ માટે 3283 કરોડની જોગવાઈ
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્ય બંધના આનુષાંગિક કામો, પુન: વસન તથા પર્યાવરણીય કામગીરી માટે રૂ.124.52 કરોડ, પાવર હાઉસોની જાળવણી પેટે રૂ.102.62 કરોડ અને કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી તથા જાળવણી અને સંચાલન માટે રૂ.675 કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશનની તેમજ જાળવણીની કામગીરી માટે રૂ.177.54 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે રૂ. 627 કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ.736 કરોડ, કચ્છ માટે રૂ.1082 કરોડ તથા મધ્ય ગુજરાત વિસ્તાર માટે રૂ.838 કરોડ એમ નહેરોના બાંધકામ માટે કુલ રૂ.3283 કરોડની જોગવાઇ કરાઈ છે.

સિંચાઈ વ્યવસ્થા માટે 103 કરોડની યોજના મંજૂર
નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં 1133 ઘનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી 458 કિ.મી. લાંબી છે. જે એક મોટી નદી જેટલી છે. તેનું કામ લગભગ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ 69,000 કિ.મી. લાંબુ નહેરોનું માળખું જે 17.92 લાખ વિસ્તારને સિંચાઈનો લાભ આપશે તે માત્ર 20 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ રૂ.79,000 કરોડના ખર્ચે આ યોજના વર્ષ 2025માં પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના 22 ગામોના 13,884 હેકટર વિસ્તાર માટે આશરે 4,000 ખેડૂતોને લાભ આપવા નવીન સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ.103 કરોડની યોજના સરકારે મંજૂર કરી છે.

પાણીની 80 ટકા જરૂરિયાત નર્મદાના પાણી પૂરી કરે છે
મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાની પીવાના પાણીની જરૂરિયાતમાંથી 80 ટકા જેટલી જરૂરિયાતમાં નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે. તેમાં 7 મહાનગરો, 199 નગરો તથા 11,777 ગામોનો સમાવેશ થાય છે. પિયત વિસ્તારની દૃષ્ટિએ એક તરફ ગુજરાતના 205 બંધો અને બીજી તરફ માત્ર સરદાર સરોવર યોજના–બંનેનો પિયત વિસ્તાર લગભગ સરખો છે જે કુલ મળીને 36 લાખ હેક્ટર થાય છે. આમ 200 કરતાં વધારે બંધો જેટલું યોગદાન માત્ર સરદાર સરોવર યોજના આપી રહી છે.

કુલ 421 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન કરાયું
ગત વર્ષે સરદાર સરોવર યોજના અંતર્ગત થયેલી કામગીરીની સિદ્ધિઓ અંગે મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષે રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ થકી પ્રતિ યુનિટ રૂ.4.00 લેખે અંદાજે રૂ.1684 કરોડની કિંમતનું કુલ 421 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે નર્મદા યોજનાના ઈતિહાસમાં સૌથી વઘારે વીજ ઉત્પાદન નોંધાયું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે નહેરો પરના નાના જળવિદ્યુત મથકો થકી 4.13 કરોડ યુનિટ ઉત્પાદન થતાં કુલ 30.8 કરોડ યુનિટ તેમજ કેનાલ ટોપ અને કેનાલ બેંકના કુલ– 25 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ થકી 3.08 કરોડ યુનિટ થતાં કુલ 20.70 કરોડ યુનિટ સોલાર વીજ ઉત્પાદન થયું છે.

અન્ય સમાચારો પણ છે…