અમદાવાદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના 38 જેટલા મૃતક ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા એક કરોડની રકમ મૃત્યુ સહાય ચૂકવવામાં આવશે. બાર કાઉન્સિલની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની આજે મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા અત્યારસુધીમાં રાજયના કુલ ત્રણ હજાર જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા 68 કરોડ જેટલી રકમ મૃત્યુ સહાય પેટે ચૂકવવામાં આવી છે.
બાર કાઉન્સિલની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠક
ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલ હોય તેવા અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ સભ્ય બન્યા હોય તેમ જ નિયમિત રીતે રિન્યુઅલ ફી ભરતા હોય તેમજ વેરિફિકેશન રૂલ્સનું પાલન કરતા હોય તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા 3.50 લાખ મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં આવે છે. બાર કાઉન્સિલના ચેરમેન અનિરૂદ્ધસિંહ એચ. ઝાલા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં એડમિનિસ્ટ્રેટિવ કમિટીની સભ્યો અનિલ સી. કેલ્લા, કિશોરકુમાર ત્રિવેદી, સી.કે. પટેલ તેમજ રમેશચંદ્ર શાહ સહિતના હાજર રહ્યાં હતા.
38 માંથી 19 ધારાશાસ્ત્રીઓ એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય
આ બેઠકમાં રાજયમાં છેલ્લા બે મહિનામાં ગુજરી ગયેલા 38 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજી હાથ પર લેવામાં આવી હતી. જેમાં ચકાસણી દરમિયાન માલૂમ પડયુ હતું કે, એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય અને નિયમિત રિન્યુલ ફી ભરતા હતા તેમજ પ્લેસ ઓફ પ્રેક્ટીસ વેરિફિકેસનનું ફોર્મ ભરનાર 19 ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુ સહારની અરજી મંજૂર કરવામાં આવી હતી. આમ 38 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે કુલ એક કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે વેલફેર ફંડની રિન્યુલ ફી ભરેલી ના હોય તેમજ પ્લેસ ઓફ પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ના ભર્યું હોય તેવા 19 ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી છે. તેમજ 42 ધારાશાસ્ત્રીઓને રૂપિયા 12.50 લાખ વધુ માંદગીસહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજયના કુલ ત્રણ હજારથી વધુ નિધન
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા અત્યારસુધીમાં રાજયના કુલ ત્રણ હજારથી વધુ નિધન પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા 68 કરોડ જેટલી રકમ મૃત્યુ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જે નોંધનીય બાબત છે. ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલ હોય તે તમામ ધારાશાસ્ત્રીઓને તાકીદ કરવામાં આવે છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી મૃત્યુસહાયનો લાભ લેવો હોય તો ફરજિયાતપણે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બની જવુ અને જે પણ વેલ્ફેર ફંડના સભ્ય બન્યા છે તેમણે નિયમિતપણે વાર્ષિક રીન્યુઅલ ફ્રી રૂપિયા 1500 ભરી દેવી. જે પણ વેલ્ફેર ફંડના સભ્યો રીન્યુઅલ ફી ભરશે નહીં તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારોને વેલ્ફેર ફંડના હકથી તેમજ મૃત્યુ સહાયના હકથી તેમજ માંદગીસહાયના હકથી વંચિત રહી શકે છે તેમ જણાવ્યું હતું.