રાજકોટ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા શ્રીનાથ પાર્કમાં રહેતા અને પંચનાથ પ્લોટમાં ડાયપરનો હોલસેલ વેપાર કરતા વિજયભાઇ ચંદુલાલ ઠકરાર નામના 50 વર્ષના લોહાણા વેપારીએ પોતાના પાડોશી મુકેશ કાના કેશવાલા, શ્રોફ રોડ પર રહેતા અશોકભાઇ અને સદર બજારમાં રહેતા બ્રિજેશભાઇ ચંપકભાઇ નામના શખ્સોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દઇ પ્રોમીસરી નોટ લખાવ્યાની અને કોર્ટમાં નેગોશીએબલ અંગેનો કેસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી
વિજયભાઇ ઠકરાર પિતા ચંદુલાલ ઠકરાર બિમાર હોવાથી અને ધંધામાં પૈસાની જરુર હોવાથી રૂ. 50 હજાર માસિક 25 ટકા વ્યાજના દરે લીધા હતા. વ્યાજ અને હપ્તા પેટે મુકેશ કેશવાલા દર અઠવાડીએ રૂ.3,500 વસુલ કરતો હતો. આ રીતે 14 માસ સુધી હપ્તા સહિત 10 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ રૂ. 4 લાખની માગણી કરી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી છે. જયારે શ્રોફ રોડપર રહેતા અશોકભાઇ પાસેથી રૂ.7.50 લાખ માસિક 25 ટકા વ્યાજે લીધા હતા તેના વ્યાજનો વહીવટ સદર બજારમાં રહેતા બ્રિજેશ કરતો હતો તેને વ્યાજ સહિત રૂ. 10 લાખ ચુકવી દીધા હોવા છતા વ્યાજના વધુ રૂ.4 લાખની માગણી કરી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હોવાનું વિજયભાઇ ઠાકરારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
સાસરિયાના ત્રાસથી પરિણીતાએ શેમ્પુ ગટગટાવીને આપઘાત કર્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતી દિપાલીબેન વિનોદભાઈ ગોહિલ નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર શેમ્પુ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીના 13 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં ચાર પુત્રી છે. પતિનું અવસાન થતા તેણી પુત્રી સાથે રહેતી હતી. પરંતુ સાસુ-સસરા ત્રાસ આપતા હોવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કમરના દુખાવાથી કંટાળી વૃદ્ધાએ એસિડ પીધુ
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કોકીલાબેન શશીકાંતભાઈ જોશી નામના 70 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં કમરના દુખાવાથી કંટાળી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
માનસિક બીમારીથી પીડિત વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી
મોરબી રોડ પર મધુવન પાર્કમાં રહેતા ભીમજીભાઈ કરશનભાઈ રામાણી (ઉ.વ.94) ગત તા.7ના પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધનું ગઇકાલે મોત નિપજયુ હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી પરીવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક લાંબા સમયથી માનસિક બીમારીથી પીડીત હોવાથી કંટાળીને પગલુ ભર્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.