આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બૌધિક વિકાસને ઉત્તેજવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમને સજ્જ કરી રોજગારલક્ષીતા વધારવા તથા સાંપ્રત પ્રવાહોથી તેમને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે “પ્રશ્નોપનિષદ” શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને સંલગ્ન કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2022-23માં અભ્યાસ કરતાં પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને આવરી લઇ ઓનલાઈન ક્વીઝ ‘પ્રશ્નોપનિષદ’નો શુભારંભ તારીખ 9 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યો છે.

આ ક્વીઝ્ના લોન્ચ સમારોહમાં GSFC વિશ્વવિદ્યાલયના પ્રોવોસ્ટ ડો.નિખીલ ઝવેરી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યો, વિવિધ વિભાગોના તમામ અધ્યક્ષ, સંલગ્ન કોલેજના તમામ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

‘પ્રશ્નોપનિષદ’ ક્વીઝ્ના લોન્ચ સમારોહની શરૂઆતમાં યુનિવર્સિટીના કા.કુલપતિ પ્રો.નિરંજન પટેલે મહેમાનનો પરિચય આપી સૌને આવકાર્ય હતા અને વિશ્વ વિદ્યાલય કક્ષાએ પ્રસ્તુત ક્વીઝ યોજવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કાર્યો હતો. ત્યારબાદ ક્વીઝ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સંવાહક ડો.અલકા મેકવાને ક્વીઝની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી અને ઓનલાઈન મોડ પર કુલ પાંચ રાઉન્ડમાં રમાનાર ક્વીઝ્ના વિવિધ અયામોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહાનુભાવો દ્વારા ‘પ્રશ્નોપનિષદ’ ક્વીઝ્ પોર્ટલનું લોન્ચિંગ કરી આ ઓનલાઇન પોર્ટલને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવેલ. આજે 7750 વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડનાં પહેલા દિવસે ક્વિઝ રમ્યા હતા.

મહત્વનું છે કે, મુખ્ય મહેમાન GSFC વિશ્વવિદ્યાલયના પ્રોવોસ્ટ ડો.નિખીલ ઝવેરીએ વિશ્વ વિદ્યાલયના આ કાર્યને બિરદાવી સૌ વિદ્યાર્થીઓને આ ક્વીઝમાં ભાગ લઇ પોતાની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા અનુરોધ કરેલ. વધુમાં તેમણે પરંપરાગત પેડાગોજીમાંથી વિદ્યાર્થી કેન્દ્રી પેડાગોજી તરફ પ્રયાણ કરી NEP 2020માં સૂચિત નિર્દેશોને આ ક્વીઝ થાકી કાર્યાન્વિત કરવા બદલ સરદાર પટેલ યુનિવર્સિટીને અબિનંદન પાઠવ્યાં હતા. આ ક્વિઝ સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી પોતાની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે એક નવીન તક પુરી પાડશે તેમ પણ તેમણે જણાવેલ. કાર્યક્રમના અંતે પ્રસ્તુત ક્વીઝ્ના નોડલ ઓફિસર વિશ્વ વિદ્યાલયના પ્રાધ્યાપક ડો.કોમલ મિસ્ત્રી સૌ પ્રત્યે ઋણ ભાવ વ્યક્ત કર્યો હતો.


