Sunday, March 12, 2023

મંદિરોમાં સંધ્યા આરતી બાદ ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાયો; હિંમતનગરના વિવિધ મંદિરોમાં ભક્તો જોડાયા | After the evening aarti in the temples, the devotees were given prasad of Mohanthal; Devotees joined various temples of Himmatnagar | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)28 મિનિટ પહેલા

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી મગફળીની ચીકીનો પ્રસાદ શરુ કર્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. અંબાજીમાં ધરણાનો કાર્યક્રમ થયા બાદ હવે તમામ મંદિરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભક્તોને સંધ્યા આરતી બાદ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવાનું આહવાન કરાયું હતું. જેને લઈને સાબરકાંઠા જિલ્લાના તમામ મંદિરોમાં રવિવારે સંધ્યા આરતી બાદ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, અંબાજીમાં વર્ષોની ચાલતી આવતી પરંપરા મુજબ મોહનથાળના પ્રસાદને એકાએક સરકાર દ્વારા બંધ કરીને મગફળીની ચીકીનો પ્રસાદ શરુ કરવામાં આવતા હિંદુ સંગઠનો સાથે ભક્તો સરકારના વિરોધમાં આવી ગયા હતા. ચીકીનો પ્રસાદ બંધ કરવા માટે વિરોધ રૂપે અંબાજી બંધનું એલાન આપી ધરણા કર્યા, પરંતુ સરકારનો નિર્ણય યથાવત રહ્યો છે. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદને બજરંગદળ દ્વારા દરેક મંદિરોમાં સંધ્યા આરતી બાદ ભક્તોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવાનું આહવાહન કરાયું હતું. જેને લઈને હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લાના તમામ મંદિરોમાં રવિવારે સાંજે સંધ્યા આરતી બાદ પ્રસાદમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો છે.

હિંમતનગરના મહાવીરનગરના પંચદેવ મંદિર, કાંકરોલ મહાકાલી મંદિર, છાપરીયા હનુમાનજી મંદિર, સહકારી જીન રોડ અનંતેશ્વર મહાદેવ મંદિર, લીમ્બચ માતાજીનું મંદિર, રાયકાનગર બાલા હનુમાનજી મંદિર, છાપરીયા રામજી મંદિર, વિનાયક મંદિર, શારદાકુંજ રામેશ્વર મંદિર, મોતીપુરા હનુમાનજી મંદિર, રામદેવપીરનું મંદિર, કાંકરોલ ગાયત્રી મંદિર, ઉમિયા માતાજીનું મંદિર, ગોકુલેશ્વર મહાદેવ મંદિર, હરિઓમ સોસાયટીમાં ગણપતિદાદાનું મંદિર, ડેમાઈ રોડ પર જલારામ મંદિર, ટાવર ચીકમાં હનુમાનજી મંદિર, રામજી મંદિર, ખાડિયા હનુમાનજી મંદિર, સ્ટેશન રોડ પર અંબે માનુ મંદિર, મહેતાપુરામાં ગાયત્રી માતાજીનું મંદિર, હનુમાનજી, ઝરણેશ્વર મંદિર, રામજી મંદિર, પોલોગ્રાઉન્ડમાં હનુમાનજી મંદિર, મહાકાલી મંદિર, રામનગર હનુમાનજી મંદિર, શક્તિનગર મહાકાલી માતાજીનું મંદિર, સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરે રાબેતા મુજબ સંધ્યા આરતી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કરાયેલા આયોજન મુજબ ભક્તોને આરતી બાદ પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવ્યો હતો.

હિંમતનગરના છાપરીયામાં આવેલા રામજી મંદિર કે જ્યાંથી રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જ્યાં રવિવારે સાંજે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આરતી બાદ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભક્તોએ અને ટ્રસ્ટીઓ પણ અંબાજીમાં બંધ કરાયેલા મોહનથાળના પ્રસાદને ફરી શરુ કરવા માટે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…